જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપ પ્રેરીત પેનલનાં ચાર ઉમેદવારો બિનહરીફ

0

જૂનાગઢ અને સોરઠ પંથકની ખેડુતો માટેની અને સહકારી ક્ષેત્રની અત્યંત મહત્વની એવી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનાં ઢોલ જયારથી વાગવા લાગ્યા ત્યારથી સોરઠમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અત્યંત મહત્વની યાર્ડની આ ચૂંટણીમાં પોતાની ચેનલના જ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવાનાં દ્રઢ વિશ્વાસ સાથે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી લડાઈ રહી છે. અને ભાજપનો ભવ્ય વિજય થવાનો છે એવો વિશ્વાસ પણ કિરીટભાઈ પટેલે વ્યકત કર્યો છે.
સોરઠ પંથકમાં ખાસ કરીને ખેડુત ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે તેવી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારી પત્રક ખેંચવાના દિવસે જ ભાજપ પ્રેરીત ચાર બેઠક બીનહરીફ થતા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને તેમની ટીમમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી આર.પી. ખરાડીની અધ્યક્ષતામાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેસાઈ ગોપાલભાઈ છગનભાઈ, દોમડીયા ભાવેશકુમાર હેંમતભાઈ અને બુટાણી ચંદુલાલ નારણભાઈ, સોજીત્રા પ્રવિણભાઈ નારણભાઈ બિનહરીફ જાહેર થયાં હતાં. જયારે બાકી રહેલી ખેડુત વિભાગ ખરીદ વેંચાણ સંઘ વગેરેની બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે તે અંગેની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ૧૬ ડિરેકટરોની ચૂંટણી પહેલા જ ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વેપારી પેનલની ચારે ચાર બેઠક ભાજપને ફાળે બિન હરીફ થયેલ છે. હવે આગામી તા.૧૬ના રોજ ખેડૂત વિભાગની ૧૦ અને ખરીદ વેંચાણ સંઘની બે બેઠક માટે મતદાન યોજાશે. જેમાં કુલ રર ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં કેસરીયો લહેરાય તેવા સંકેત આજથી જ મળી ગયા છે. કુલ ૧૬ ડીરેકટરોની ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૩૦ ફોર્મ ભરાયા હતાં. જેમાંથી ફોર્મ ચકાસણીમાં ૩ ફોર્મ રદ થતાં ર૭ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતાં. જેમાંથી ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે ૮ ફોર્મ પરત ખેંચાતા હવે ૧૯ ઉમેદવારો મેદાનમાં છે. આના માટે ૯૭૭ મતદારો નોંધાયેલા છે. તેવી જ રીતે વેપારી પેનલમાં ૪ બેઠક માટે ૧૪ ફોર્મ ભરાયા હતાં. જે પૈકીના ૧૦ ફોર્મ ગઈકાલે પરત ખેંચાતા બાકીના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. તેમજ ખરીદ વેંચાણ સંઘમાં ર બેઠક માટે ૯ ફોર્મ ભરાયા હતા. જેમાંથી આજે ૬ ફોર્મ પરત ખેંચાતા હવે ર બેઠક માટે ૩ ઉમેદવારો મેદાનમાં અને તેમાં ૧પ૬ મતદારો નોંધાયેલા છે.
આ ૧ર બેઠક માટે આગામી તા.૧૬ના રોજ મતદાન અને તા.૧૭નાં રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવનાર છે. દરમ્યાન માર્કેટીંગ યાર્ડની યોજાઈ રહેલી આ ચૂંટણીમાં જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીમાં ભાજપ પ્રેરીત ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડનાં પુર્વ ચેરમેનો, વડીલો સર્વશ્રી ભીખાભાઈ ગજેરા, વિનુભાઈ હપાણી, નટુભાઈ પટોડીયા, હરજીભાઈ સરધારા, ભાવેશભાઈ વોરા વગેરે સાથે પણ સતત સંકલનમાં રહી અમારી ભાજપ પ્રેરીત પેનલના ઉમેદવારોને વિજેતા પદ અપાવશું અને ભાજપ પ્રેરીત પેનલના ઉમેદવારોની જીત નિશ્ચિત છે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!