ઉમદા નેતા, ઉત્તમ વ્યક્તિત્વ, પ્રખર દેશભક્તિનો સમન્વય એટલે અટલબિહારી વાજપેયી

0

 

દેશના પૂર્વ વડાપ્રધાન,મહાન દેશભક્ત નેતા અને અત્યંત પ્રભાવક વક્તા એવા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે એમને શબ્દાંજલી પાઠવતાં સૌરાષ્ટ્ર ભારતિય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, અટલજી એમની વિદાય પછીના બે વર્ષે પણ દેશને સતત પ્રેરણા આપી રહ્યા છે. અટલજી પક્ષાપક્ષીથી ઊપર ઊઠીને સમગ્ર ભારતના અદ્વિતીય અને અગ્રણી નેતા હતા. આજના રાજકીય કાર્યકર્તાઓ, નેતાઓ માટે એમણે જીવેલું ઉમદા જીવન પ્રેરણામયી બની રહ્યું છે. વાજપેયીજીની પાંચ દાયકાની રાજકીય યાત્રા રાજનીતિ ક્ષેત્રે આવનારા કોઇ પણ માટે પ્રેરણાદાયી બની રહી છે.
રાજુભાઇ ધ્રુવે સ્મરણાંજલિ આપતાં જણાવ્યું હતું કે, દેશની રાજનીતિમાં વર્ષો સુધી અટલજીનું વ્યક્તિત્વ અમીટ અને ઘણે અંશે અદ્વિતીય દીવાદાંડી ધ્રુવતારક જેવું પથદર્શક બની રહેશે. વર્ષો સુધી વિરોધપક્ષમાં રહીને પણ એમણે દેશના ઘડતરમાં પોતાના અનુભવ,દ્રષ્ટિકોણ અને વૈચારિકતાથી યોગદાન આપ્યું અને જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પરમાણું પરીક્ષણ જેવાં હિંમતભર્યાં પગલાં લઇને રાષ્ટ્રની શાન વધારી. ૧૯૯૪માં કોંગ્રેસનું શાસન હતું, સ્વ. પી.વી.નરસિંહારાવ વડાપ્રધાન હતા. જિનિવા ખાતે મળી રહેલી માનવ અધિકાર પરિષદમાં ભારતના પ્રતિનિધી તરીકે અટલજીને મોકલવાનો ર્નિણય થયો અને સૌ કોઇએ એક અવાજે એને વધાવી લીધો હતો. વિવાદોથી તેઓ હંમેશા દૂર રહ્યા હતા. સકારાત્મક વૈચારિક માનસિકતાને લીધે અટલજીનું સન્માન વૈચારિક વિરોધીઓ- વિરોધપક્ષના લોકો પણ કરતા રહ્યા. રાષ્ટ્રવાદી વિચારધારા સાથે અને થકી જ તેઓ પોતાનું પૂરૂં જીવન જીવ્યા. સમગ્ર જીવન ની એક એક પળ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને લોકતાંત્રિક અને માનવીય સંવેદનાઓ સાથે નૈતિક મૂલ્યોને આજીવન આચરણ સાથે વણી તેમણે પોતાની રાજનીતિ ચલાવી છે. ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જન્મેલા અટલજીએ રાજનીતિશાસ્ત્ર વિષય સાથે એમએ કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પછી પ્રચાર બનીને એમણે જીવન દેશને સમર્પિત કર્યું હતું.
૧૯૫૧માં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે આરએએસના સરસંઘચાલક ગુરૂજી પાસે પાર્ટીનો વ્યાપ વધારવાની વિનંતી કરી. ત્યારે ગુરૂજીએ પંડીત દીનદયાળ ઉપાધ્યાય અને નાનાજી દેશમુખની સાથે અટલજીને પણ ભારતીય જનસંઘમાં કાર્ય કરવાની જવાબદારી સોંપી. ભારતીય જનસંઘના સ્થાપના અને સંઘર્ષકાળમાં દીર્ઘ સમય સુધી તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષપદે રહ્યા. ૧૯૫૭માં ઉત્તરપ્રદેશની બલરામપુર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી પહલીવાર લડ્યા અને વિજેતા થયા.જનતા સરકારમાં ૭૭ થી ૭૯ સુધી તેઓ વિદેશપ્રધાન રહ્યા. ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઇ જેના પ્રથમ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ અટલજીએ લીધી અને કાર્યકર્તાઓનું એમણે ઘડતર કર્યું. પક્ષનો પાયો મજબૂત બનાવ્યો હતો. ૧૯૫૭માં લોકસભામાં પહેલીવાર ચૂંટાયા પછી ૧૯૮૪-૧૯૮૫ ચૂંટણીના અપવાદને બાદ કરતાં સતત તેઓ લોકસભામાં ચૂંટાતા રહ્યા. ૧૯૯૨માં પદ્મવિભૂષણ અને ૨૦૧૫ માં ભારત રત્ન સન્માનથી એમને વિભૂષિત કરાયા. ૧૬મે ૧૯૯૬ના દિવસે અટલજીએ પહેલીવાર ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. પરંતુ એ સરકારનો કાર્યકાળ ૧૩ દિવસનો રહ્યો. ૧૯૯૮માં માર્ચ માસમાં બારમી લોકસભામાં ચૂંટાયા અને ફરી વડાપ્રધાનપદે આરૂઢ થયા ત્યારે ૧૩ માસ એમણે વડાપ્રધાન પદ નિભાવ્યું. ઓક્ટોબર ૧૯૯૯માં ‘કહો દિલ સે અટલજી ફિરસે નારા’ સાથે લોકોએ ફરી એમને જવાબદારી સોંપી અને ૨૪ પક્ષોના સંયુક્ત લોકતાંત્રિક મોર્ચાના નેતા તરીકે તેમણે નેતૃત્વ પૂરૂ પાડ્યું. શાંત,ઓજસ્વી-પ્રભાવશાળી ,સૌજન્યપૂર્ણ નેતા એક ગરીમાંપૂર્ણ રાજપુરૂષ તરીકે તો તેઓ દુનિયામાં જાણીતા છે, પરંતુ એક પ્રખર વક્તા તરીકે પણ એમની નામના યુવાવસ્થાથી રહી. તેમની જાહેરસભામાં રાજકોટના શાસ્ત્રી મેદાન જેવી જગ્યાઓમાં પણ ભરચક્ક મેદની થતી. કોઇ પણ મુદ્દાને તેઓ ધારદાર,ચોટદાર અને છતાં વિવેકપૂર્ણ રીતે રજૂ કરતા. એમની વાણીના લોકો દીવાના હતા. સંસદમાં વિપક્ષી નેતા તરીકે પ્રવચન કરતા હોય કે વડાપ્રધાન તરીકેનું વક્તવ્ય હોય અટલજી બોલવાનું શરૂ કરે એટલે જાણે સમય પણ એમને સાંભળવા માટે થંભી જાય. પોતે કવિતાઓનું સર્જન પણ કર્યું. દેશભક્તિની કવિતા, પ્રિય સ્થળ મનાલી ઉપર લખેલી કવિતા કે કટોકટીકાળમાં જેલમાં લખેલી એમની કવિતાઓ એમની સંવેદનશીલતાના જીવંત પુરાવા છે. અટલજી રાજકીય વ્યક્તિ તો હતા જ પરંતુ રાષ્ટ્રીય વ્યક્તિ હતા. કડવાશ વગર તેમણે જીવન વિતાવ્યું. તેમના જીવનના અનેક પ્રેરણાદાયી યાદગાર પ્રસંગો છે. પરંતુ એમને ફક્ત યાદ કરવા કરતાં જે રીતે એ જીવી ગયા એ રીતે જીવવાની કોશિષ કરવી એ એમને સાચી શ્રધ્ધાંજલિ છે તેમ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!