ખંભાળિયા નજીક પુરપાટ જતી બોલેરો હડફેટે બાઈક સવાર દંપતિ તથા પુત્રના કરૂણ મૃત્યું

0

ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર ગઈકાલે રવિવારે બપોરે જામનગરથી ભાણવડ જઈ રહેલા એક બાળક સાથેના દંપતીનું એક્ટિવા મોટરસાયકલ પૂરપાટ જતી બોલેરો પિકઅપ વાનની ઠોકરે ચડી જતા એક્ટિવામાં જઈ રહેલા માસુમ બાળક સહિત દંપતિના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.
આ અરેરાટીજનક બનાવની જાણવા મળતી વિગત એવી છે કે ભાણવડના જુના નગરનાકા વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ધરાવતા કેતનભાઈ ડાયાભાઈ પરમાર નામના ૩૯ વર્ષના કોળી યુવાનના જામનગર ખાતે રહેતાં સસરાને કેન્સરની બીમારી હોવાથી તેઓ સારવાર હેઠળ દાખલ હતા. બીમાર પિતાની તબિયતના ખબર કાઢવા કેતનભાઈ પત્ની જ્યોતિબેન (ઉ.વ. ૩૫) તેઓના આઠ વર્ષના બાળક ઉદયને સાથે લઈને બે દિવસ પહેલા જામનગર ગયા હતા. જ્યાં ગઈકાલે રાત્રે ભાણવડથી કેતનભાઈ પણ તેમના એકટીવા મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ ડી. ૨૧૩૦માં આવ્યા હતા. પોતાના સસરાના ખબર- અંતર કાઢી અને પત્ની-પુત્રને ભાણવડ પોતાના ઘરે સાથે લઈને જવા માટે કેતનભાઈ તેમનાં પત્ની જ્યોતિબેન તથા પુત્ર ઉદય સાથે ગઈકાલે સવારે અગિયારેક વાગ્યે જામનગરથી ભાણવડ તરફ જવા નીકળ્યા હતા. આ એક્ટિવા સવાર દંપતિ- પુત્ર ખંભાળિયાથી આશરે આઠેક કિલોમીટર દૂર ભાણવડ રોડ ઉપર માંઝા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે, સામેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ ટી. ૩૭૧૧ નંબરના એક બોલેરો પિકઅપ વાહનના ચાલકે કેતનભાઈના એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. જેના કારણે આ એકટીવાનો ભુક્કો બોલી ગયો હતો અને કેતન તથા તેમનાં પત્ની જ્યોતિબેનએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. જ્યારે માસુમ બાળક ઉદયને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે ખસેડાતા તેનું પણ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!