દક્ષિણ – મધ્ય ગુજરાતમાં માવઠાંથી રવી પાકને નુકશાન, ખેડુતોની માઠી દશા

0

ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાય વેળાએ જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડના કપરાડા, ડાંગ, કાલોલ અને દાહોદ પંથકમાં વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો અને કમોસમી વરસાદ થયો હતો, જ્યારે વલસાડના કપરાડા અને દાહોદના કતવારા ગામમાં કરા પડ્યા છે. કમોસમી વરસાદને પગલે રવી પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, જ્યારે આવતીકાલે પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે થોડા સમય સુધી જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ હતું. વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં કરાં સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કપરાડા પંથકમાં ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ડાંગ અને દાહોદ પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતમાં બે થી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી પણ કરી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પણ થઈ શકે છે તેવી આગાહી કરી હતી. જે આગાહીને લઈને ગુરૂવારે વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારના સમયે વાદળછાયું વાતાવરણ હતું. જાેકે બપોર સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. પરંતુ રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકામા કપરાડા અને ધરમપુર તાલુકામાં દિવસભર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ કપરાડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે જિલ્લાના મુખ્ય કેરીને નુકસાનીની શક્યતાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. માવઠાને લઈને શાકભાજી અને અન્ય શિયાળુ પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદથી આંબા ઉપર આવેલા મોર ખરી પડે છે. સાથે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે. આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જાેકે હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં બેથી ત્રણ દિવસ વાતાવરણ વાતાવરણમાં પલટો આવશે એના કારણે જ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. વલસાડના કપરાડા ઉપરાંત ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આજે બપોર બાદ વાતાવરણમાં આવેલા એકાએક પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. ડાંગ જિલ્લામાં આહવા સહિતના પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. આદિવાસી પંથક અને જંગલ વિસ્તારથી ઘેરાયેલા આ જિલ્લામાં માવઠામાં ખેતીને વ્યાપકન નુકસાન જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે, સાપુતારાના તળેટી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ત્યારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડકનો વધારો થયો છે, આગામી ઉનાળામાં પાકનાર કેરી તેમજ શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જ્યારે દાહોદ પંથકમાં સવારે અને રાત્રે ઠંડી પડી રહી હોવાથી મિશ્ર ઋતુની અનૂભુતિ થઇ રહી છે. તેવા સમયે ગુરૂવારે બપોરે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ચારે કોર ઠંડક છવાઇ ગઇ હતી.મધ્ય ગુજરાત માટે કોઇ આગાહી ન હોવા છતાં એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં આશ્ચર્ય સર્જાયું હતું, જ્યારે કાલોલ પંથકમાં પણ કમોસમી વરસાદ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!