ગીર જંગલમાં ગાયોનાં શિકાર મામલે ભેંસાણ શહેર સહિત ૨૦ ગામ અડધો દિવસ સજજડ બંધ રહયાં

0

ગીર જંગલની ઉત્તર રેન્જની રણશીવાવ બીટમાં વનકર્મીની બેદરકારીથી સિંહોએ ૪ ગાયના કરેલ શિકારના વિરોધમાં ભેંસાણ અને બીલખા પંથકના કેટલાક ગામો રોષપૂર્વક અડધો દિવસ સજ્જડ બંધ રહ્યા હતા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓના જડ વલણની પણ લોકોએ આકરી ટીકા કરી હતી. ભેંસાણ તાલુકાના નવા વાઘણિયાના માલધારી રામભાઈ ગઢવીની ૧૫ ગાયોને બળજબરીપૂર્વક વનવિભાગના જવાબદાર કર્મચારી જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં બેદરકાર વનકર્મીના પાપે ૪ ગાયોના સિંહોએ શિકાર કરતા સમગ્ર પંથકના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો છે.  ગઈકાલ સવારથી જ ભેંસાણ શહેર ઉપરાંત આજુબાજુના છોડવડી, રાણપુર, મંડલીકપુર, નવા પીપળીયા, વાઘણીયા સહિતના ૨૦ ગામના વેપારીઓએ અડધો દિવસ સુધી પોતાના વેપાર-ધંધા બંધ પાડીને આ જધન્ય ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો. ગૌમાતાની શિકારની ઘટનામાં તથા પૂર્ણ તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવા ભેંસાણ વેપારી એસોસીએશન, બીલખા ચેમ્બર ઓફ કોમર્સ, ભેંસાણ તાલુકા સરપંચ યુનિયન તેમજ વિવિધ રાજકીય પક્ષોેએ માંગણી કરી છે. પક્ષપાત વિના બિન રાજકીય રીતે છેલ્લા આઠ દિવસ ચાલી રહેલ આ આંદોલનના મુખ્ય આંદોલનકર્તા ગાંડુભાઈ કથીરિયા અને કિશોરભાઈ વાળાએ જણાવ્યું હતું કે, જાે આ ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે વનવિભાગ દ્વારા પગલા ભરવામાં નહીં આવે તો આગામી તારીખ ૧૨ ના રોજ જૂનાગઢ ખાતે ડીસીએફ કચેરી સામે ૨૦  ગામના સરપંચો અને ૧૦૦ જેટલી સામાજિક સંસ્થાઓના પ્રમુખો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!