યાદશક્તિ,ર્નિણયશક્તિ અને કાર્યશક્તિ એ ત્રણેય શક્તિઓ નરેન્દ્ર મોદીના પ્રભાવી વ્યક્તિત્વની ઓળખ છે

0

યાદ શક્તિ : વર્ષ ૧૯૮૧ થી ૨૦૨૧ સુધીનાં મારા ૪૦ વર્ષના સંબંધના સંભારણામાં મને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વનું સૌથી મોટું અને મજબૂત પાસું લાગ્યું હોય તો તેમની યાદશક્તિ, ર્નિણયશક્તિ અને કાર્યશક્તિ. આ ત્રણેય શક્તિઓ તેમનાં પ્રભાવી વ્યક્તિત્વની ઓળખ છે. મારા ચાર દાયકાના ઓબ્ઝર્વેશનથી હું દાવા સાથે કહી શકું છું કે, દુનિયાના કોઈપણ લીડરમાં નહીં હોય તેવી પાવરફૂલ મેમરી મોદીજી પાસે છે. તેમને કોઈપણ પહેલીવાર મળે ત્યારથી તેનું નામ યાદ રહી જાય. કોઈપણ શહેર કે ગામમાં જાય ત્યાં અનેક લોકોને નામથી બોલાવે અને જાહેરસભામાં પણ વર્ષો પહેલાંના સંભારણાનો ઉલ્લેખ અવશ્ય કહે. સ્થાનિક વખણાતી વસ્તુ કે કોઈની દુકાનનું નામ કે ત્યાંના ઈતિહાસની વાત કરે. એક ઉદાહરણ તરીકે કહું તો, ધંધુકામાં આવે તો પ્રફુલ્લભાઈ ભટ્ટ, જૂની કહેવત “દિકરીને બંદુકે તેવી પરંતુ ધંધુકે ન દેવી” તેમજ ધોળકામાં કાળીદાસ કાકા, નટુભાઈ, કનુભાઈ જાેષી, રસિકભાઈ ફોટોગ્રાફરને વગેરેને યાદ કરે. ક્યાંક ચા કે આઈસ્ક્રીમની દુકાન કે પછી ક્યાંક ફલાણાંભાઈ ભજીયા-ગાંઠીયાનો ઉલ્લેખ કરે.  અમરેલીમાં પ્રવાસ હોય ત્યારે કવિ કલાપીથી લઈને જલારામબાપાના ગુરૂ પૂ.ભોજલરામ બાપા, ડો.જીવરાજભાઈ મહેતા, દુલાભાયા કાગ, કાનજી ભૂટા બારોટ, રમેશ પારેખ સુધીનો લોકોને યાદ કરે છે. કોઈપણને મળે ત્યારે તેઓ પરીવારના સભ્યોનાં નામ કે જે તે સંબંધિત કામ પણ યાદ હોય. સરકારી અધિકારીઓ સાથેની મિટીંગોમાં પણ યોજના, ફાઈલ કામ, સોંપેલ કામના સંદર્ભના જૂના રેફરન્સ યાદ હોય અને અધિકારીઓની સંપૂર્ણ માહિતી અને કાર્યશૈલી ખબર હોય એટલે અધિકારીઓ પણ તેમની યાદશક્તિને કારણે જ ડરતાં હતાં.

ર્નિણયશક્તિ : મને વ્યક્તિગત પત્ર દ્વારા અને મૌખિક રીતે કહેતાં કે જાહેરજીવનમાં કામ કરવું હોય તો વ્યક્તિગત ર્નિણયશક્તિ ડેવલપ કરવી પડે. મને ધારાસભ્ય તરીકે યાદ છે કે, મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં તમામ ૧૮૦૦૦ ગામડાઓમાં ૨૪ કલાક વિજળી-જ્યોતિગ્રામ યોજનાનો વિચાર મૂકીને જાહેરાત કરી. તે સમયે કોંગ્રેસના અમરસિંહ ચૌધરીએ નરેન્દ્રભાઈને કહ્યું કે ૨૪ કલાક વિજળી માટે ફીડરો અલગ કરવા જેવી અનેક ટેકનીકલ સેટપ કરવું  ખુબ જ અધરૂં હોવાથી ગામડાંઓમાં ૨૪ કલાક વિજળી અશક્ય છે અને કોઈકાળે થઈ શકે નહીં. તમે નવાં નવાં છો એટલે હું તેમને સલાહ આપું છું. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ શાંતિથી સાંભળ્યા અને કહ્યું કે, મેં દરેક ગામડાઓને ૨૪ કલાક વિજળી આપવાનો ર્નિણય અને સંકલ્પ લઈ લીધો છે. હવે હું આ ર્નિણયને પૂરો કરીને બતાવીશ. પછી તેમણે કદાચ વિધાનસભામાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આજે તેમણે લીધેલ અધરાં ર્નિણયને પૂર્ણ કર્યાં જેનાં ફળ આજે ગુજરાતના તમામ ગામોમાં ૨૪ કલાક વિજળીથી ઝળહળે છે.  નર્મદા યોજનાનાં સંઘર્ષથી સફળતા સુધીનો ઈતિહાસ ગુજરાતની જનતાને યાદ છે. નર્મદા ડેમની ઊંચાઈ, કેનાલનું કામ, વિસ્થાપિતોનો પ્રશ્ન, નર્મદા વિરોધી કોંગ્રેસ અને મેઘા પાટકર સાથેના અન્ય પરીબળો સામેનો સંઘર્ષ, ત્રણ દિવસના ઉપવાસ અને પ્રધાનમંત્રી બન્યાં પછી ૧૭માં દિવસે નર્મદા ડેમના દરવાજા માટે સંમતિ આપવાના કાર્ય શ્રુંખલાઓમાં નરેન્દ્રભાઈ મોદીની રાજકીય ઈચ્છાશક્તિનું પરીણામ હતું.

પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ ?

હું પડકારો ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહીં,

હું જાતે બળતું ફાનસ છું.

ગુજરાત દેશ માટે સૌથી વધુ અઘરા ર્નિણયો એમણે જ કર્યાં છે. દરેક ર્નિણય પાછળ એમનું લોખંડી મનોબળ દેખાઈ આવે છે. દેશની સુરક્ષા માટે કોઈ બાંધછોડ ન કરવી, દેશ ઉપર અગાઉના સમયમાં જયારે જયારે પણ હુમલા થયા છે ત્યારે તે વખતની સરકારોએ કોઈ રીએકશન આપ્યાં નથી, માત્ર નમાલા જવાબો જ આપ્યા છે. તપાસ કમિટી બનાવશું, યુ.એનમાં અને અમેરીકાને ફરીયાદ કરીશું આ જ પ્રકારના નિવેદનો કર્યાં છે. દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ આવ્યું ત્યારથી લોખંડી અને અડગ અનેક દેશહિત-જનહિતનાં ર્નિણયો થઈ રહ્યાં છે. ઉરી અને પુલવામા હુમલાના જવાબમાં પહેલીવાર દુશ્મનોને તેમણે જડબાતોડ અને ઝડપી જવાબ આપ્યો. પાકિસ્તાનની અંદર ઘુસીને, દુશ્મન દેશમાં જઈને ભારતના સૈનિકોએ સર્જીકલ સ્ટ્રાઈક,એર સ્ટ્રાઈક દ્વારા આતંકવાદીઓના અડ્ડા સાથે સફાયોકર્યો. તે મક્કમ તેમની ર્નિણયશક્તિનો પરીચય હતો. આ ર્નિણયશક્તિ દુનિયાએ જાેઈ,જાણી,માણી અને વખાણી પણ ખરી. નરેન્દ્રભાઈની ર્નિણયશક્તિને કારણે ભારત સૌથી શક્તિશાળી અને ગૌરવશાળી દેશ બન્યો છે.  દેશની સાંસ્કૃતિક રાષ્ટ્રની ઓળખ રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણ અને દેશની એકતા-અખંડીતતા માટેના કાશ્મીરમાં ૩૭૦ હટાવવી, એક આઝાદી પહેલા સદીઓથી  ચાલતો વિવાદ અને એક આઝાદી પછીની સમસ્યા. આ બે ર્નિણયો એ સૌથી અઘરામાં અઘરા ઐતિહાસિક ર્નિણયો હતાં. ભગવાન શ્રી રામ એ દેશની જનતાનું શ્રદ્ધા, આસ્થા, ભક્તિ-શક્તિનું કેન્દ્ર છે. ભગવાન રામ એ સુશાસનનું પ્રતિક છે. સામાજીક સમરસતાનું પ્રતિબિંબ છે. પરંતુ દાયકાઓથી રામજન્મભૂમિ મંદિર માટે દરેક પ્રકારનાં સંઘર્ષ, આંદોલનો થયાં. પૂ.સંતો,વિશ્વ હિન્દુ પરીષદ, આર.એસ.એસ.સહિત લાખો લોકો દ્વારા તપશ્ચર્યા,બલિદાનો આપવામાં આવ્યાં. શ્રી રામ મંદિરના નિર્માણનો વિવાદ સદીઓથી ચાલતો હતો. આનો ઉકેલ આવશે તેવું કોઈએ સ્વપ્નમાં પણ ન હોતું વિચાર્યું અને ઉકેલ લાવવા માટે કોઈ હિંમત પણ ન હોતું કરતું. તેવાં સમયે  નરેન્દ્રભાઈ મોદી એ પોતાની મક્કમ ર્નિણયશક્તિથી લોકશાહી અને ન્યાય પ્રક્રિયા મુજબ આનો ઉકેલ લાવવામાં અગ્રણી ભૂમિકા નિભાવી અને જેના કારણે આજે હિન્દુસ્તાનના જન-જનમાં વસેલાં ભગવાન શ્રી રામનું જન્મભૂમિનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યું છે. આમ, રાષ્ટ્રહિત કે જનહિતનાં અઘરાં અઘરાં ર્નિણયો લેવાની તેમની શક્તિએ દેશ અને વિશ્વમાં મજબૂત નેતૃત્વની પ્રતિષ્ઠા ઊભી થઈ છે. /ભારત વિરોધી, અલગાંવવાદીઓ, આંતકવાદીઓને સમર્થન આપનારા લોકોનો કાશ્મીર ઉપર સંપૂર્ણ કબજાે હતો. ભારતની સુપ્રિમ કોર્ટનાં ૧૦૬ કાયદાઓ કાશ્મીરમાં ૩૭૦ની કલમને કારણે લાગુ પડતાં ન હતાં. ભારત મુર્દાબાદ,પાકિસ્તાન ઝીંદબાદના નારા લાગે અને ભારતનો રાષ્ટ્રધ્વજ સળગવે તો પણ કયાંય તેના પર કેસ ન થઈ શકે. આવી પરિસ્થિતિમાં ૩૭૦ હટાવવી એટલે  ભયંકર જાેખમી અને કાશ્મીર ભડકે બળશે તેવી ધમકીઓ વચ્ચે નરેન્દ્રભાઈ મોદીની ર્નિણયશક્તિ દ્વારા કાશ્મીરમાં ૩૭૦ હટાવીને સરદાર પટેલનું સ્વપ્ન, ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને સાર્થક કરીને એક ભારત-એક સંવિધાનને વધુ મજબૂત કરી દીધું છે.

કાર્યશક્તિ : રાષ્ટ્રહિત અને જનહિતને ધ્યાનમાં રાખીને મોદીજીએ પોતાની કાર્યશક્તિ દ્વારા લોકાભિમુખ શાસન આપ્યું છે. નરેન્દ્રભાઈ મોદીની યાદશક્તિ અને ર્નિણયશક્તિ જેમ તેમની કાર્યશક્તિ પણ લાજવાબ છે. જે કામ હાથમાં લીધું હોય એના પર જ વધુ ફોકસ કરવું, પુરતું લેશન કરવું, પરિશ્રમ કરવો, ફોલોઅપ કરવું, ફીડબેક  મેળવો એ તેમની વિશેષતા છે. સવારે વહેલા ઉઠવું, કામ સોંપવા માટે ફોન કરવાં, સવારે અલગ અલગ પ્રકારની મિટીંગોનો ક્રમ ગોઠવવો. આમ તેમણે પોતાની કાર્યશક્તિથી બીજાની કાર્યક્ષમતા વધારીને એક નવા પ્રકારનું વર્ક કલ્ચરલ ઊભું કર્યું છે. ‘પૂર્વ આયોજન આ શબ્દને તેમણે મૂર્તિમંત કર્યાં છે. કોઈપણ સંગઠન કાર્ય કે કાર્યક્રમની પૂર્વતૈયારી માટે પરીશ્રમ કરે અને લોકોને પણ કરાવે, લોકોને જાેડીને કામ કરાવવું આ તેમની આગવી વિશેષતા છે. સંગઠનના પત્રકો અને ચોપડા લખવા માટે અનેક જીલ્લામાં તે સમયના મોટા-મોટા પદાધિકારીઓને પણ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી બેસાડયાંના અનેક પ્રસંગો કાર્યકર્તાઓને યાદ છે. વહેલી સવારે કામના સંદર્ભમાં ફોન કરે અને મોડી રાત્રે કામનું શું થયું ? તેમનું ફોલોઅપ કરે. નરેન્દ્રભાઈ મોદીને પાર્ટી જે કામ સોપ્યું હોય તેમાં દરેક લોકોને સતર્કતા અને સક્રિયતા રાખવી જ પડે. આવી કાર્યશક્તિને કારણે જ તેઓ લોકો સાથે ‘એટેચ અને એકમેક’ થઈ શક્યા અને ‘સંકલ્પોને સિદ્ધ કરી શકયાં. નરેન્દ્રભાઈ મોદીએ સરકારી કાર્યમાં System Changeના સતત અને સખત આગ્રહી રહ્યાં. મુખ્યમંત્રી અને હવે, પ્રધાનમંત્રી કાર્યકાળ દરમ્યાન તેઓ એ લોકો માટે ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મૂકી અને તેમને સરકારની સહાય સીધેસીધી પહોંચે તે માટે Direct Benefit Transfer (DBT)ને માધ્યમ બનાવ્યું. તે પહેલાં ૪૦ કરોડથી વધુ જનખાતાઓ ખોલાવ્યાં. આજે ૩૧૧ યોજનાઓ દ્વારા ૧૮,૬૪,૦૩૦ કરોડ રૂ.લાભાર્થીઓના સીધેસીધાં બેંક ખાતાં પહોંચી રહ્યાં છે. જે કોંગ્રેસના સમયમાં રાજીવ ગાંધીએ કબૂલાત કરી હતી કે, દિલ્હીથી ૧ રૂ.મોકલું અને ૧૫ પૈસા જ નીચે સુધી પહોંચે છે. આજે દિલ્હીથી નીકળેલાં રૂપિયા પૂરેપૂરા અને સીધેસીધાં પહોંચી રહ્યાં છે. આ નરેન્દ્રભાઈ મોદીની કાર્યશક્તિનો ઉત્તમ ઉદાહરણ છે. નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે તેમની યાદશક્તિ,ર્નિણયશક્તિ અને કાર્યશક્તિ વધુને વધુ ઉજ્જવળ રહે તેવી હ્યદયપૂર્વકની શુભકામનાઓ..

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!