વેરાવળમાં ગેરકાયદેસર બાંધકામો સામે નગરપાલીકા તંત્રની નિતી એકને ખોળ એકને ગોળની હોવાનો સત્તાધારી ભાજપના જ નગરસેવકનો આક્ષેપ

0

વેરાવળ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો મુદે હાઇકોર્ટની ફટકાર બાદ ૩૭ જેટલા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવા નગરપાલીકાએ નોટીસો મોકલી કાર્યવાહી શરૂ કરી છે. એવા સમયે એક તરફ સામાજીક કાર્યકરે નગરપાલીકાની કાર્યવાહી બાદ પણ એસટી રોડ ઉપર અનઅધિકૃત બાંધકામ બેરોકટોક ચાલી રહયા અંગે નગરપાલીકાને ફરીયાદ કરી હોવા છતાં તે રોકવા કે બંધ કરાવવા કોઇ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ કરેલ છે. તો બીજી તરફ ભાજપ શાસિત નગરપાલીકા તંત્રની કામગીરી સામે ભાજપના જ નગરસેવકે સવાલો ઉઠાવી એકને ગોળ અને એકને ખોળની નિતી રાખી કાર્યવાહી કરી રહયુ હોય જે અંગે નિષ્પક્ષ તપાસ કરાવવા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી છે. આમ વેરાવળ શહેરમાં અનઅધિકૃત ગેરકાયદસર બાંધકામો સામે નગરપાલીકાની કાર્યવાહી સામે નાગરીકોથી લઇ ભાજપના જ જવાબદારોએ સવાલ ઉભા કરતા ચકચાર પ્રસરી છે. હવે આગામી દિવસોમાં નગરપાલીકાની કાર્યવાહી નિષ્પક્ષ થશે કે કેમ તે જાેવું રહેશે.
વેરાવળમાં રહેતા જાગૃત નાગરીકે દિપક ખોરાબાએ પાલીકાને બંને વખત કરેલ લેખીત ફરીયાદમાં જણાવેલ કે, વેરાવળ શહેરમાં ટાવરચોકથી નજીક આવેલ અલાણા વાળી તરીકે ઓળખાતી રેવન્યુ સર્વે નં.૩ વાળી જગ્યામાં મુખ્ય રસ્તાને અડીને બિનધિકૃત બાંધકામ થઈ રહ્યું છે. જે અંગે અગાઉ પણ તા.૧૯-૧-૨૧ના રોજ બાંધકામના ફોટોગ્રાફ સાથે લેખીત ફરિયાદ કરી હતી. નગરપાલીકાએ આ ફરીયાદ અગાઉ પણ બાંધકામ કરી રહેલ શખ્સને નોટીસ ફટકારી બાંધકામ દુર કરવા તાકીદ કરેલ તેમ છતાં બાંધકામ યથાવત હોવાથી બાદમાં નગરપાલીકાના સ્ટાફે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાંધકામ અટકાવેલ હતુ. જે બિનધિકૃત બાંધકામ છેલ્લા એક સપ્તાહથી ફરી શરૂ થઈ ગયુ છે. જેથી તાત્કાલીક અસરથી અટકાવી આ ગેરકાયદે બાંધકામને દુર કરવા માંગણી છે. વેરાવળ શહેરમાં બિનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ ચીફ ઓફીસર તરીકે આપને પ્રાપ્ત સત્તા મુજબ જેમ ૩૭ બાંધકામો તોડી પાડવા કાર્યવાહી કરી છે તેવી કાર્યવાહી આ ફરીયાદમાં કરવા માંગણી છે. ભૂતકાળના અધિકારીઓએ જે પ્રમાણે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી નહીં કરી પરોક્ષ રીતે પ્રોત્સાહન પુરૂ પાડી ફરજમાં ગંભીર બેદરકારી દાખવેલ જેની હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે ત્યારે તેવી સ્થિતિનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. જેથી કડક કાર્યવાહી નહીં થાય તો અમારે ન્યાયલયના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવેલ છે. જાગૃત નાગરીકની ફરીયાદ અંગે ચીફ આફીસર ચેતન ડુડીયાએ જણાવેલ કે, અલાણાવાળી જગ્યામાં નગરપાલીકા મંજૂરી આપી શકતુ નથી. ત્યાં થતા બાંધકામને બંધ કરાવવા જાણ કરાયેલ તેમ છતાં ફરી શરૂ થયાની ફરીયાદ મળી છે જે અંગે તપાસ કરાવી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
જયારે સત્તાધારી ભાજપના નગરસેવક ઉદયભાઇ શાહે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને કરેલ રજુઆતમાં જણાવેલ કે, વેરાવળ શહેરમાં બે દાયકા જુના બાંધકામો બિનઅધિકૃત હોવા અંગે નોટીસો આપી નગરપાલીકા તંત્ર નાના અને મધ્યમ વર્ગના લોકોને પરેશાન કરી રહયા છે. જયારે છેલ્લા પાંચેક વર્ષના સમયગાળામાં શહેરમાં અલાણાની જગ્યામાં, ટાવર ચોકમાં, ૮૦ ફૂટ રોડ, ૬૦ ફૂટ રોડ, ડાભોર રોડ, હુડકો સોસાયટી જેવા અનેક પોષ વિસ્તારોમાં પાર્કીગની કોઇ સુવિધા વગર નિયમો વિરૂધ્ધના બાંધકામો બન્યા છે. આવા બાંધકામો કરનાર આસામીઓ નિયમોને જાણે ધોળીને પી ને કામગીરી કરતા હોવા છતાં નગરપાલીકા મંજુરી આપે છે ? નગરપાલીકાના કર્મચારીઓ જ બાંધકામ નિયમ મુજબ થાય છે કે કેમ ? તેની તપાસ કરતા હોવા છતાં નિયમ વિરૂધ્ધ અવિરત અનઅધિકૃત બાંધકામો થઇ રહયા છે. આમ, ગેરકાયદેસર બાંધકામો સામે નગરપાલીકા તંત્રની નિતી એકને ગોળ, એકને ખોળની હોવાનું જણાય છે. જેથી આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!