કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાનો મેળાનો આનંદ માણતા લોકો

0

કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગ દેવતા ધુણેશ્વર દાદાનું પૌરાણિક અને ઐતિહાસિક ધુણેશ્વર દાદા નાગ દેવતાનું મંદિર આવેલ છે. જ્યાં વર્ષોથી ધુળેટીના દિવસે મેળો યોજાય છે. મંદિર અને બાજુમાં આવેલ વૃક્ષોને  મનમોહક લાઈટીંગથી શણગારવામાં આવે છે. આ મેળાની વિશેષતા એ છે કે, ધુણેશ્વર દાદાને ધુળ ચડાવવામાં આવે છે. શ્રધ્ધાળુઓ એક ખોબો ધુળ ચડાવે છે તે ઉપરાંત શ્રીફળથી પારણાં નીમક તથા ઘઉની ઘુઘરી ધરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાં અને જૂનાગઢ જીલ્લામાં એક માત્ર ધુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે જ્યાં આજુબાજુના આસરે પચ્ચીસથી પણ વધારે ગામોના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધુળેટીના દિવસે ધુણેશ્વર દાદાને સવા મણની ઘઉની ઘુઘરી ધરવામાં આવે છે અને તેની પ્રસાદી લેવામાં આવે છે. આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, કટલેરી બજાર, રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરે છે. જે ખરીદી કરનારાઓની પણ ભારે ભીડ જાેવા મળે છે. ધુણેશ્વર દાદાના મંદિરના લાભાર્થે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવે છે. જેમાં જુદા જુદા ગામોના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિઃસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવે છે. તેમાંથી એકઠું થતું ફંડ ધુણેશ્વર દાદાના મંદિરના સેવાકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મેળામાં અશ્વ દોડ હરીફાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. આજુબાજુના ગામોના અશ્વ પાલકો અશ્વોને શણગારી મેળામાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે. જેમાં રેવલ ચાલ દોડ હરીફાઈ યોજવામાં આવે છે. ધુણેશ્વર દાદાના મેળામાં ધુળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડે છે. આખો દિવસ મેળાની મોજ માણે છે. આ મેળામાં આજુબાજુના પચીસથી પણ વધારે ગામોના લોકો મેળાનો લાભ લે છે. વર્ષો પહેલાં આ મેળામાં શણગારેલા બળદ ગામડાઓમાં લોકો મેળો કરવા આવતા અને બળદ ગાડાની હરીફાઈઓ પણ યોજાતી. ધીમે ધીમે ટ્રેક્ટર, ફોરવ્હીલ તથા બાઈકો સહિતના વાહનોની સગવડો વધતી જતા હાલમાં બળદ ખાડાઓ જવલ્લે જ જાેવા મળે છે. ઘોડેસવાર ઘોડા દોડાવવાની હરીફાઈ કરે છે. ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા મેળામાં ધુણેશ્વર દાદા સમિતી દ્વારા ચા, પાણી, ભોજન, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ જાતનું ફંડ લેવામાં આવતું નથી. લોકો સ્વૈચ્છિક અનુદાન આપે તે સ્વીકારવામાં આવે છે. યોજાયેલ મેળામાં બે લાખ જેટલા લોકોએ મેળાનો લાભ લીધો હોવાનો અંદાજ માનવામાં આવે છે.

error: Content is protected !!