કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ ખુલ્લો મુકાયો

0

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ૨૪ મે ૨૦૨૨થી ૭ જૂન ૨૦૨૨ સુધી અમદાવાદના વસ્ત્રાપુરમાં સ્થિત હાટ ખાતે આયોજન કરેલ છે. આ મહોત્સવનું ઉદઘાટન રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સંબોધન કરતા કહ્યું કે, લોકોને કારબાઈડ મુક્ત કેરી મળે અને ખેડૂતોને સારો ભાવ મળે તે હેતુથી આવા આયોજનો થાય છે. ચાલુ વર્ષે જુદા-જુદા કારણોથી કેરી સહિત અન્ય ખેત પેદાશોનું ઉત્પાદન ઓછું થયું, સરકારે ખેડૂતોને મુશ્કેલ સમયમાં પણ તમામ સહાય પૂરી પાડી છે. પાંચ વર્ષમાં ટેકાના ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને ૨૦ હજાર કરોડથી વધુની ખરીદી કરી છે. તાઉતે વાવાઝોડા વખતે પણ કેરી ઉત્પાદિત કરતા ખેડૂતોને હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની નુકશાન સહાય આપવામાં આવી છે. આ સિવાય ખેડૂતોને પ્રોસેસિંગ અને નિકાસ માટે સરકાર જરૂરી તમામ મદદ કરે છે. પ્રાકૃતિક ખેતી માટે પણ સરકારનો ખુબ જ પ્રોત્સાહક અભિગમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ઉપયોગી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આવા મહોત્સવથી સૌને ફાયદો થાય છે જેથી નગરજનોને પણ મહોત્સવનો મહત્તમ લાભ લેવા કૃષિમંત્રી રાઘવજી પટેલે વિનંતી કરી છે. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે પણ ઉદબોધન કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી પહેલા ખેડૂતો એક જ પ્રકારનો પાક લેતા પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોને કારણે આજે અલગ અલગ સિઝનમાં વિવિધ પાકો લેતા થયા છે. ટેકાના ભાવે ખરીદીમાં પણ સરકારે ઉદાર વલણ દાખવ્યું છે. સરકાર ખેડૂતોને અન્યાય નહીં કરે તેવી જવાબદારી લે છે. અમદાવાદના નગરજનોએ પણ આ મહોત્સવમાં કેસર કેરીની ખરીદીની તક ઝડપી હતી. મહોત્સવમાં હાજર રહેલા અમદાવાદની ગૃહિણીઓએ કેરી ખરીદી અને પ્રતિભાવ આપ્યો કે, અહીંથી તેમને સારા ભાવે ગુણવત્તાયુક્ત કેસર કેરી મળે છે જેથી તેઓ દર વર્ષે આ જ સ્થળ ઉપરથી કેરીની ખરીદી કરે છે. જાે કે, કોરોનાકાળના ૨ વર્ષ આ કેસર કેરી મહોત્સવ મૂલવી રખાયો હતો. હાજર ખેડૂતોએ પણ મંત્રીઓ અને અધિકારીઓ સહિત તમામ લોકો સમક્ષ પ્રતિભાવ આપતા કહ્યું કે, દલાલ અને વચેટીયાઓની ચુંગાલમાંથી તેઓ છૂટ્યા છે અને આ પ્રકારના મહોત્સવથી તેમને કેરીના સારા ભાવ મળ્યા છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પણ આ જ રીતે પૂરો કરી શકાશે તેવો પણ ખેડૂત મિત્રે જણાવ્યું. આ મહોત્સવમાં અમદાવાદ હાર્ટ ખાતે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જિલ્લાના ખેડૂતો દ્વારા કાર્બાઇડ ફ્રી કેસર કેરીનું અમદાવાદના લોકોને સીધું વેંચાણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષે પ્રાકૃતિક કૃષિ અને એસટીના ખેડૂતોને પણ માર્કેટિંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે સ્ટોર ફાળવવામાં આવ્યા છે. અભિગમને કારણે ખેડૂતોને વળતર માત્ર ૩૦ થી ૩૫ ટકાનો વધારો મળ્યો છે. કેસર કેરી મહોત્સવના ઉદ્‌ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી તેમજ ગુજરાત એગ્રોના મેનેજિંગ ડિરેક્ટર ડી.કે. પારેખ દ્વારા અમદાવાદના નગરજનોને કાર્બાઇડ ફ્રી ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરી ખરીદવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેરી મહોત્સવ ૨૪ મેથી ૭ જૂન સુધી દરરોજ સવારે ૯ થી રાત્રે ૮ સુધી ખુલ્લો રહેશે.

error: Content is protected !!