ગીરમાં વરસાદ પહેલા મગફળીનું મબલખ આગોતરૂં વાવેતર શરૂ

0

ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે ચોમાસા પહેલા મગફળીનું વાવેતર થયું છે. સારા ચોમાસાનો વરતારો તથા આ વિસ્તારની નદીઓ તેમજ કૂવાઓમાં પાણીનાં સાજા તળને લઈને ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કરી દીધું છે. જળ એજ જીવન અને જળ સંચય એજ જીવન ઉક્તિને ગીર સોમનાથ જિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં સાર્થક થતી જાેઈ શકાય છે.
ખાસ કરીને કોડીનાર, તાલાળા, વેરાવળ અને સુત્રાપાડાનો કેટલોક વિસ્તાર આ બાબતે મોખરે છે. આ વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્યારેય કપરો દુકાળ પડ્યો નથી. મોટેભાગે આ વિસ્તારમાં બારેમાસ પાણીનું સુખ જાેવા મળે છે. જેમાં ખાસ તાલાળા, કોડીનાર અને વેરાવળ. ગીર વિસ્તારમાં મોટા કુલ પાંચ ડેમો આવેલા છે. જેમાં ઘણું વરસાદી પાણી સંગ્રહાયેલું રહે છે. ખેડૂતોને શિયાળું તેમજ ઉનાળું પાક માટે આ ડેમોમાંથી કેનાલ મારફતે વારંવાર પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત નદીમાં પણ પાણી છોડવામાં આવે છે. જેથી નદી કિનારા નજીકના અને આસપાસના તમામ કૂવાઓ રિચાર્જ થાય છે. જેને લઈ ખેડૂતોને પાણીની મુશ્કેલી રહેતી નથી. આ સાથે ચોમાસાનું પાણી પણ ખેડૂતો પોતાના કૂવાઓમાં ઉતારે છે. આથી કૂવાના તળ હંમેશા સાજા રહે છે. ગીર વિસ્તારનાં મોટાભાગોમાં પાણીનું સુખ હોવાને કારણે ખેડૂતો ચોમાસાના ૧૫ દિવસ પહેલા જ મગફળીનું વાવેતર કરી દે છે. સાથે શેરડીનું પણ વાવેતર હોય છે. આથી શરૂઆતી એક કે બે પાણી પાયા બાદ વરસાદનું આગમન થતા મગફળીનો ઉતારો ખૂબ સારો આવે છે. તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. જાેકે, શરૂઆતી બિયારણ થોડું મોંઘું જરૂર પડે છે પરંતુ સરવાળે ખૂબ મોટો ફાયદો થાય છે. ગીર વિસ્તારમાં સારા પાણીને કારણે અને ડેમોમાં સચવાયેલા પાણીને નદીમાં છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને મગફળીના આગોતરા વાવેતરમાં ખૂબ મોટો ફાયદો થાય છે. આગોતરા વાવેતર બાદ એક કે બે પાણી પાયા બાદ મગફળીનો છોડ ઊગી નીકળે છે. જેને ચોમાસું વરસાદને કારણે પોષણ મળે છે. આજ કારણ છે કે મગફળીમાં ઉતારો ખૂબ સારો આવે છે. આગોતરા વાવેતરથી એક ફાયદો એવો પણ થાય છે કે મગફળી તૈયાર થયા બાદ શરૂઆતી ભાવ પણ સારા મળે છે. પરંતુ જાે વરસાદ ખેંચાય તો ખેડૂતોની કઠણાઈ બેસી જાય છે. મગફળીના વાવેતર બાદ દર ૧૫ દિવસે પાણી આપવું પડે.

error: Content is protected !!