જૂનાગઢ નેચર ફર્સ્ટ અને ઉષા બ્રેકો કંપનીની રોપવેની ટીમ દ્વારા ગિરનાર ઉપર પ્લાસ્ટિક મુક્ત અભિયાન

0

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા કરતી એનજીઓ નેચર ફર્સ્ટના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ અને ગિરનાર રોપવેના સ્ટાફના સહયોગથી ગિરનાર ઉપર અંબાજી મંદિરના પાછળના ભાગે પ્રકૃતિ માટે ઝેર સમાન જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું નેચર ફર્સ્ટના યુવાનો સાથે ઉભા બ્રેકો કંપનીના અધિકારીઓ તેમજ સ્થાનિક ગિરનાર રોપવેના અધિકારીઓ તેમજ સ્ટાફના યુવાનો જાેડાયા હતા. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર વિશ્વ પર્યાવરણ દિવસને લઈને ઘણી બધી સરકારી સંસ્થાઓ અર્ધ સરકારી સંસ્થાઓ એનજીઓ દ્વારા આ દિવસની અલગ-અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢમાં ઘણા લાંબા સમયથી નિઃસ્વાર્થ ભાવે પ્રકૃતિની સતત ચિંતા કરતા યુવાનોની સંસ્થા નેચર ફર્સ્ટ દ્વારા ગિરનાર ઉપર પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન માટે ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરતા કંપનીના અધિકારી દીપકભાઈ કપલીશ દ્વારા યુવાનોની આ વાતને વધાવી લઇ શક્ય એટલો સહયોગ આપવા અને અભિયાનમાં તેમની પણ ટીમ સહયોગ માટે સાથે જાેડાશે તેવી ખાતરી આપી હતી ઉષા બ્રેકો તેમજ નેચર ફર્સ્ટના મળી ૩૫ જેટલા યુવાનોએ મિશન નેચર ફર્સ્ટમાં ભાગ લીધો હતો. પ્રકૃતિના જતન માટે સતત કામ કરતી સંસ્થા નેચર ફર્સ્ટની ટીમ તથા ઉષા બ્રેકો ફાઉન્ડેશન(ગિરનાર રોપવે)ના સહયોગથી પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સવારના ૯ઃ૩૦ કલાકથી ગિરનાર ઉપર અંબાજી મંદિરની પાછળના જંગલ વિસ્તારમાં ૩૯મું પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. એનજીઓ તેમજ રોપવેના અધિકારીઓ અને સ્ટાફના ૩૫ જેટલા યુવાનોએ આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમ્યાન આશરે ૧૦૦૦ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો. નેચર ફર્સ્ટના ભરત બોરીચા દ્વારા જણાવાયું હતું કે, આમ જાેઈએ તો દરેક દિવસ પર્યાવરણનો દિવસ છે, અમારી સંસ્થા સતત પ્રકૃતિની ચિંતા કરતી આવી છે અને કરતી પણ આવશે પ્રકૃતિનું જતન કરી સમાજની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમારી સંસ્થા દરેક દિવસને પ્રકૃતિનો દિવસ માને છે, જેના ભાગરૂપે ગીરનારના જંગલ વિસ્તારમાંથી અમારી સંસ્થાએ ૩૯મું પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યું હતું વધુમાં તેમણે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માની કોઈપણ પ્રકારના બાહ્ય આડંબરો કે ફોટો સેશનનો મોહ છોડી થોડો સમય ફાળવે તે આજના સમયની જરૂરિયાત છે. સાથે સાથે જંગલ વિસ્તારમાં રજાના સમયે ફરવા જતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તારના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક કચરો ન કરે તેવો અનુરોધ કર્યો હતો. ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓએ આજના અભિયાનમાં આપેલ સહયોગ બદલ તેમના માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!