જબલપુર ખાતે ફરજ ઉપર રહેલા ખંભાળિયાના મિલિટરીના સુબેદારનું અકસ્માતે નિધન

0

ખંભાળિયા શહેર નજીક રહેતા અને જબલપુર ખાતે ફરજ બજાવતા એક જવાનનું બે દિવસ પૂર્વે અકસ્માતે નિધન થતા તેમના મૃતદેહને ગઈકાલે મંગળવારે સવારે ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે વિશાળ સ્મશાનયાત્રા નીકળી હતી અને લોકોએ શ્રદ્ધાસુમન આપી, તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. ખંભાળિયા શહેર નજીકના બજાણા રોડ ઉપર રહેતા સતવારા જ્ઞાતિના હરેશભાઈ સવજીભાઈ હડીયલ(ઉ.વ.૪૯) છેલ્લા ઘણા સમયથી જબલપુર ખાતે મેડિકલ વિભાગમાં સૂબેદાર તરીકે ફરજ બજાવતા હતા. ગત તારીખ ૫ જૂનના રોજ તેઓ ફરજ ઉપર હતા, ત્યારે અકસ્માતે તેમનું નિધન થયું હતું. આ અવસાનના સમાચાર ખંભાળિયામાં વાયુવેગે પ્રસરી જતા આ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મૃતક યુવાન હરેશભાઈ હડીયલના મૃતદેહને મીલીટરીના વાહન મારફતે ગઈકાલે સવારે આશરે સાડા આઠ વાગ્યે ખંભાળિયા ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ વીંટીને લાવવામાં આવેલા આ મૃતદેહને લોકોએ અશ્રુઓ સાથે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આશરે દસેક વાગ્યે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો તથા સતવારા જ્ઞાતિના લોકો જાેડાયા હતા. ભારત માતાકી જય સહિતના ગગનભેદી રાષ્ટ્રવાદના નાદ સાથે સદગત હરેશભાઈ સવજીભાઈ હડીયલ મૃતદેહને તેઓના પૂત્રના હસ્તે મુખાગ્નિ આપવામાં આવ્યો હતો અને આ સમયે સમગ્ર વાતાવરણ શોક મગ્ન બની રહ્યું હતું. લોકોએ સદગતને શ્રદ્ધાંજલિ આપી, શોક વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!