દ્વારકા પહોંચેલા ખંભાળિયાના નટુભાઈ ગણાત્રાને પોલીસે ડિટેઇન કર્યા

0

ખંભાળિયાના અગ્રણી અને અગાઉ વિવિધ પ્રશ્નો માટે લડત આપી ચૂકેલા નટુભાઈ ગણાત્રા કે જેઓ હાલ છેલ્લા ઘણા સમયથી કોઈ મુદ્દે વ્યથિત હોવાથી ગઈકાલે મંગળવારે તેઓ દ્વારકા પહોંચ્યા હતા અને આજરોજ સવારે તેઓ દ્વારકાના ભડકેશ્વર મંદિર નજીકના દરિયામાં ઝંપલાવીને આપઘાત કરે તે પહેલાં પોલીસે તેમને અટકાવ્યા હતા. ખંભાળિયામાં અગાઉ રાજકીય તથા સામાજિક કક્ષાએ નોંધપાત્ર વર્ચસ્વ અને વજન ધરાવતા નટુભાઈ ગણાત્રાએ હાલ ખંભાળિયા નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે તેમજ અન્ય મુદ્દે આંદોલન અને ઉપવાસ હાથ ધર્યા બાદ આ પ્રશ્નની નોંધપાત્ર ફળશ્રુતિ ન સાંપડતા તેમના દ્વારા પત્રિકાઓ બહાર પાડી અને આશ્ચર્યજનક કાર્યક્રમનું અલ્ટિમેટમ આપ્યું હતું. જાે કે, ૧૫મી ઓગસ્ટના રોજ તેમના દ્વારા હાથ ધરવામાં આવનાર આશ્ચર્યજનક પગલાં લેવામાં આવે તે પૂર્વે તેઓ ગઇકાલે મંગળવારે દ્વારકા પહોંચી ગયા હતા. જ્યાં તેમણે એક હોટલમાં રાત્રીના રોકાયા બાદ આજરોજ સવારે દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયામાં પહોંચી ગયા હતા અને અગાઉ વર્ષો જૂની બાબતને યાદ કરી અને તેઓ દરિયામાં ઝંપલાવવાની તજવીજ કરતા હોવાથી મંદિર વ્યવસ્થાપન સમિતિના ડીવાયએસપી સમીર સારડા દ્વારા તેમને અટકાવી અને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ સ્થળેથી લઈ જઈને નટુભાઈને જે હોટલમાં તેઓ રોકાયા હતા, ત્યાં પહોંચાડી દેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ સ્થાનિક રાજકારણ સાથે જિલ્લાભરમાં ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

error: Content is protected !!