દ્વારકાની કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરાર થઈને સાધુનો વેશ ધારણ કરવા છતાં આરોપી ઝડપાઈ ગયો

0

દ્વારકામાં રહેતા એક શખ્સ દ્વારા આશરે દસેક વર્ષ પૂર્વે આચરવામાં આવેલા એક ગુનામાં કોર્ટ દ્વારા તેને જામીન અપાયા બાદ તે નાસતો-ફરતો હોય, આ અંગે જિલ્લા એસઓજી પોલીસે સાધુનો પહેરવેશ ધારણ કરી અને લપાતા છુપાતા આ શખ્સને ઝડપી લીધો હતો. આ અંગેની વિગત મુજબ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમ સામે વર્ષ ૨૦૧૨માં જાનથી મારી નાખવાની ધમકી તથા એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દ્વારકા કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરાયા બાદ તે ચોક્કસ મુદતે કોર્ટમાં હાજર થતો ન હતો અને નાસતો ફરતો જાહેર થયો હતો. છેલ્લા આશરે નવેક વર્ષથી ફરાર થઇ ગયેલો ઉપરોક્ત શખ્સ સાધુનો પરિવેશ ધારણ કરીને ફરતો રહેતો હતો. આ દરમ્યાન જિલ્લા એસઓજી પોલીસને સોંપવામાં આવેલી તપાસમાં સ્ટાફના એએસઆઈ હરપાલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે છેલ્લા આશરે નવેક વર્ષથી ફરાર એવો રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમ હાલ રાજેન્દ્રગીરીનું નામ ધારણ કરી અને દ્વારકાના રબારી ગેઈટમાં સાધુના પરિવેશમાં હોવા અંગેની ચોક્કસ બાતમીના આધારે આ સ્થળેથી તેમની અટકાયત કરી, વોરંટની બજવણી કરાયા બાદ દ્વારકા કોર્ટમાં સોંપીને આરોપીએ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી એસઓજી વિભાગના પીઆઈ પી.સી. સિંગરખીયા, હરપાલસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, કિશોરસિંહ જાડેજા, જીવાભાઈ ગોજીયા, ખેતશીભાઈ મુન અને દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!