વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવેના રૂા.૧૬૩૬૯ કરોડના ૧૮ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂા.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન હસ્તે રેલવેના વિવિધ રૂા.૧૦૭૪૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ તથા રૂા.૫૬૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ ૧૩ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન વડોદરામાં રૂા.૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલ્વે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય કરવા જઈ રહી છે. આની સાથે આ વિશ્વવિદ્યાલયને કેન્દ્ર યુનિવર્સિટીનો દરજ્જાે પણ આપવામાં આવ્યો હતો. વડોદરામાં વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રીય રેલ્વે પરિવહન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ રેલ રોડ પરિવહન સિસ્ટમ તથા સંશોધન કાર્યોનો વિસ્તાર કરવાનો છે. આ વર્ષે કેન્દ્રીય અંદાજપત્રમાં પીએમ ગતિ શક્તિ યોજના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પીએમ ગતિ શક્તિ યોજનાની મદદથી દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનો ઝડપી વિકાસ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાલનપુર-મદાર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ ગેજ પરિવર્તન બાદ અમદાવાદ-બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ ઉપરાંત લુનિધાર-ઢસા, પાલનપુર-રાધનપુર પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીધામમાં લોકોમોટીવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. વિજાપુર-આંબલીયાસણ, નડિયાદ-પેટલાદ, કડી-કટોસણ, આદરજ મોટી-વિજાપુર, જંબુસર-સમની, પેટલાદ-ભાદરણ અને હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!