ભારત જેલમાં બંધ પાકિસ્તાનીઓને છોડશે તો જ અમે અન્ય બંદીવાન ભારતીય માછીમારોને છોડીશું તેવું જણાવતા પાક જેલના સત્તાવાળા : મુક્ત માછીમાર

0

પાકીસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૦ માછીમારો મુક્ત થયા બાદ માદરે વતન વેરાવળ પહોંચી પરીવારજનોને મળતા લાગણીસભર મિલાન દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા ગીર-સોમનાથ અને હાલાર પંથકના મોટાભાગના માછીમારો ચારેક વર્ષના જેલવાસ બાદ મુક્ત થયા છે. ભારતની જેલમાં બંધક પાકીસ્તાની નાગરીકોને છોડશે તો જ પાક સત્તાવાળાઓ ત્યાં બંદીવાન ભારતીય માછીમારોને છોડીશે તેવી વાત કહ્યાનું મુક્ત થયેલા માછીમારએ જણાવી ત્યાંની જેલોમાં કેદ ૬૪૨ માછીમારોને મુક્ત કરાવવા મોદી સરકાર સમક્ષ માંગણી કરી હતી.
મુક્ત માછીમારો પરીવારજનોને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
અરબી સમુદ્રમાં માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકીસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય જળસીમામાં ઘુસી ભારતીય બોટો સાથે માછીમારોનું અપહરણ કરી પાક.ની જેલમાં ધકેલી દે છે. જાે કે, ભારત સરકારના પ્રયત્નથી બંધક ભારતીય માછીમારોને સમયાંતરે મુકત કરાવે છે. જે મુજબ તાજેતરમાં પાક. સત્તાવાળાઓએ ૨૦ બંદીવાન ભારતીય માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓને સોંપેલ હતા. ત્યાંથી રાજય ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા ટ્રેન-બસ મારફત માદરે વતન વેરાવળ લઈ આવવામાં આવેલ હતા. અહીં પ્રથમ મુક્ત માછીમારોનું જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇન્ટરોગેશન કરવામાં આવ્યું હતું. બાદમાં ફિશરીઝ કચેરી ખાતે સવારથી રાહ જાેઈ રહેલ પરીવારજનોને મુક્ત માછીમારો સુપ્રત કરાયા હતા. આ સમયે ત્રણ થી ચાર વર્ષની પાકિસ્તાન જેલમાં યાતના વેઠયા બાદ માછીમારો પોતાના પરીવારજનોને મળતા સૌની આંખોમાં હરખના આંસુ વહેતા થવાની સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
હવે માછીમારી નહીં ખેતી કે અન્ય મજૂરી કામ કરીશ
આ તકે પાક જેમાં ચારેક વર્ષનો કારાવાસ ભોગવ્યા બાદ મુકત થયેલ ગીર-સોમનાથના કાજરડી ગામના માછીમાર રમેશ રાઠોડના જણાવ્યા મુજબ પાકિસ્તાન જેલના સત્તાવાળાઓ એવું કહેતા કે, અમારા પાકિસ્તાનના જે લોકો ભારતની જેલોમાં બંધ છે તેઓને ભારત સરકાર છોડશે તો જ અમે અહીંથી બંદીવાન અન્ય ભારતીય માછીમારોને છોડીશું. જેથી ત્યાંની જેલોમાં બંદીવાન ૬૦૦થી વધુ માછીમારોને કેન્દ્ર સરકાર વ્હેલીતકે મુક્ત કરાવે તેવી વિનંતી છે. તો ચાર વર્ષ બાદ મુક્ત થયેલ ઉનાના ચીખલી ગામના માછીમાર દિનેશ ચુડાસમાએ જણાવેલ કે, હવે તે પરીવારનું ગુજરાન ચલાવવા ખેતી કામ અથવા અન્ય મજૂરી કામ કરી લેશે પરંતુ માછીમારી વ્યવસાય હંમેશા માટે છોડી દેશે.
હજુ ૬૪૨ ભારતીય માછીમારો બંદીવાન
ફિશરીઝ વિભાગના અધિકારી નયન મકવાણાએ જણાવેલ કે, પાકીસ્તાન જેલમાં કુલ ૬૬૨ માછીમાર બંધક હતા. જે પૈકી આજે ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર-૧, ઉના-૧૨, દેવભૂમિ દ્વારકા-૬, જામનગર-૧ મળી ૨૦ માછીમારો મુક્ત થયા છે. જેથી હજુ ૬૪૨ માછીમાર પાકિસ્તાન જેલમાં કેદ છે જેને છોડાવવા સરકાર કટિબદ્ધ છે.

error: Content is protected !!