ગીર-સોમનાથમાં મોડીરાત્રે મેઘસવારી : વેરાવળમાં ૫, સુત્રાપાડામાં ૪, તાલાલામાં ૩ અને ત્રણ તાલુકાઓમાં ૨ ઈંચ વરસાદ

0

ગીર-સોમનાથ જિલ્લામાં ગત મોડીરાત્રીથી ફરી મેઘ સવારી શરૂ થયેલ અને સવાર સુધીમાં સાવર્ત્રિક ૨ થી ૫ ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા પાણી પાણી થઈ ગયું છે. જિલ્લામાં સૌથી વધુ વેરાવળ-સોમનાથમાં ૫ ઈંચ, સુત્રાપાડામાં ૪, તાલાલામાં ૩ અને કોડીનાર-ઉના-ગીરગઢડામાં ૨-૨ ઈંચ જેવો ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નદીઓમાં ઘોડાપુર આવતા ગ્રામ્ય વિસ્તારોના માર્ગે ઉપર ઠેરઠેર પાણી ફરી વળ્યા હતા. તો ત્રણ તાલુકાની જીવાદોરી સમાન હિરણ-૨ ડેમ ૯૦ ટકા ભરાઈ જતા ૩ દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે. ગઈકાલે આખો દિવસ વરસ્યા બાદ સાંજે થંભી ગયેલ મેઘસવારી મોડીરાત્રીના બેએક વાગ્યાથી ફરી શરૂ થઈ હતી. જિલ્લાના છએય તાલુકાઓમાં સવારે પણ વરસાદ વરસતો જાેવા મળ્યો હતો. ગતરાત્રીના ૨ થી સવારે ૧૦ વાગ્યા સુધીમાં વેરાવળ-સોમનાથમાં ૧૨૦ મીમી(૫ ઈંચ), તાલાલામાં ૭૦ મીમી(૩ ઈંચ), સુત્રાપાડામાં ૯૮ મીમી(૪ ઈંચ), કોડીનારમાં ૪૫ મીમી(૨ ઈંચ), ઉનામાં ૪૪ મીમી(૨ ઈંચ), ગીરગઢડામાં ૫૦ મીમી(૨ ઈંચ) વરસ્યાનું નોંધાયું છે. જિલ્લામાં સતત વરસાદના પગલે સર્વત્ર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હોવાથી જનજીવન પ્રભાવિત બની રહ્યું છે.
વરસાદે પાલીકાની કામગીરીની પોલ ખોલી નાંખી
વેરાવળ-સોમનાથ શહેર પંથકમાં ગત મોડીરાત્રીથી શરૂ થયેલ મેઘસવારીએ સવાર સુધીમાં ૫ ઈંચ જેટલું પાણી વરસાવી દેતા ઠેરઠેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં શહેરના ડભોર રોડ, તપેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, ગાંધીચોક રોડ, અમરદીપ કલીનીક રોડ, એસટીના રસ્તાઓમાં ગોઠણડુબ પાણી ભરાઈ જતા નદીઓ વહેતી જાેવા મળી હતી. જ્યારે શહેરમાં આદિત્ય પાર્ક સહિતની સોસાયટી ઓમાં પણ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે શહેરના માર્ગે ઉપર ગટરો ઉભરાઈ જતા દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણી વહેતા જાેવા મળેલ જે પાલીકાએ કેવી પ્રીમોન્સૂન કામગીરી કરી છે તેની પોલ ખોલી રહ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં નદીની માફક પાણી વહી રહ્યા છે
ગત રાત્રીથી પડી રહેલા અવિરત વરસાદના કારણે વેરાવળ પંથકના આંબલીયાળા ગામમાંથી પસાર થતી દેવકા નદીમાં પુર આવ્યું હતું. જેથી ગામના રસ્તાઓ ઉપર નદીઓ માફક પાણી વહેતા થયેલ જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા હતા. આવી જ પરિસ્થિતિ તાલુકાનું ભેરાળા ગામમાં પણ જાેવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકોને જાેડતા મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બાધિત થતા ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તો પંથકની નદી-નાળાઓમાં પણ ભરપુર વરસાદી આવકના પગલે ધસમસતા પાણી વહેતા જાેવા મળી રહ્યા હતા. પંથકની દેવકા, સરસ્વતી અને હિરણ નદીમાં પુરની માફક પાણી વહેતા જાેવા મળતા હતા.
ડેમમાં એક દિવસમાં જ ૫૦ ટકા પાણી આવતા દરવાજા ખોલવા પડ્યા
વેરાવળ- સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા ત્રણ તાલુકાની જનતા અને સિંચાઈ માટે જીવાદોરી સમાન હિરણ-૨(ઉમરેઠી) ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૦ ટકાથી વધુ પાણીની આવક થતા ૯૦ ટકા ભરાઈ ગયો હતો. જેથી ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા સવારે ૩ દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ હેઠળ આવતા વેરાવળ અને તાલાલા તાલુકાના કુલ ૧૩ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ અને વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી ગામના લોકોનો સતર્ક રહેવા અને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી હોવાનું ડેમ અધિકારી સિંઘલએ જણાવેલ છે.

error: Content is protected !!