જગવિખ્યાત સોમનાથ મંદિરનાં સાંનિધ્યે પવિત્ર શ્રાવણ માસને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઈ

0

શિવની ભક્તિ માટે ઉત્તમ અને પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો આગામી દિવસોમાં પ્રારંભ થવાનો છે. જેને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના ભયના કારણે ઘણા ભાવિકો સોમનાથ આવી શકેલ નહીં પરંતુ આ વર્ષના શ્રાવણ માસમાં દેશભર તથા વિદેશમાંથી શિવભક્તો સોમનાથમાં ઉમટશે. જેને ધ્યાનમાં રાખી સોમનાથમાં યાત્રિકોની સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂ થયેલ જાેવા મળે છે. આ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિરમાં પ્રવેશની સાથે બહાર નીકળવા સુધીની સુદઢ વ્યવસ્થા કરાઈ છે. જેમાં પ્રથમ વખત વિનામૂલ્યે મોબાઈલ કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ડિજિટલ લોકરમાં દરેક યાત્રિકો મૂકી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાય છે. આ સાથે સોમનાથમાં ૪૦૦ થી વધુ રૂમોની વ્યવસ્થા છે અને એક ડોરમેટરી છે જેમાં ફક્ત ૯૦ રૂપિયામાં એક વ્યક્તિ ૨૪ કલાક રહી શકે તેવી વ્યવસ્થા છે. આવી બીજી એસી ડોરમેટરીની સુવિધા શ્રાવણ માસ માટે ખાસ કાર્યરત કરાશે. વધુમાં નસોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસ પૂર્વે સમગ્ર તીર્થનો માહોલ શિવમય બની રહેતો હોવાથી સોમનાથ મંદિરે આવતા બીમાર, અશક્ત કે વૃદ્ધ લોકો માટે વિલચેર ઈ-કાર અને મંદિર ખાતે લિફ્ટની પણ વ્યવસ્થા છે. જ્યારે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી અશક્ત ભાવિકોને વિનામૂલ્ય પહોંચાડવા માટે વાહન વ્યવસ્થા વ્યવસ્થા કરાયેલ છે. શ્રાવણ માસમાં તીર્થને સ્વચ્છ રાખવા માટે દિવસ અને રાત સફાઈ કર્મીઓની એક ટીમ સતત કામ કરતી કરશે. સોમનાથમાં આવનારા ભાવિકોએ કચરો જ્યાં ત્યાં ન નાખવા અને કચરાપેટીનો ખાસ ઉપયોગ કરવા વિનંતી કરાશે. શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટવાના હોવાથી પોલીસ સિક્યુરિટી વિભાગ સહિતનાઓ દ્વારા પણ જરૂરી તમામ તૈયારીઓને આખરી અપાયો છે. જ્યારે સોમનાથમાં લોકો આવતા પહેલા જ રહેવાની વ્યવસ્થા તેમજ કોઈપણ પ્રકારની પૂજાવિધિ ઓનલાઇન કરાવી શકે તેવી વ્યવસ્થા છે. જેથી કરીને લોકો પરિવાર સાથે સોમનાથ આવે ત્યારે કોઈ હેરાનગતિ ન થાય તે માટે શ્રાવણ માસમાં ખાસ ભાવિકોને વ્યાજબી ભાવે રહેવા સાથે વિનામૂલ્યે ભોજનાલય પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્યરત કરાયેલ છે. આ સાથે વિવિધ સેવાભાવી સંઘો દ્વારા પણ મહાપ્રસાદના ભંડારાઓ કાર્યરત કરવા વાતચીત ચાલી રહી છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે ખાસ સોમનાથ મહાદેવને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજારોહણ કરી સવા લક્ષ્ય બીલીપત્રની પૂજા કરશે. શ્રાવણ માસમાં દરરોજ સુંદર પ્રકારના રંગબેરંગી ફુલો અને અલૌકીક શણગારો મહાદેવને કરવામાં આવશે. શ્રાવણ માસના દરેક સોમવારે મહાદેવની પાલખીયાત્રાનું આયોજન કરાયેલ છે. આ સાથે મહાદેવને કરાતી વિશષ્ટ સોમેશ્વર પૂજાના સ્લોટ વધારવાનું આયોજન કરાયેલ છે. સોમનાથ મંદિર પરીસર અને આસપાસના વિસ્તારોમાં પણ શિવ વંદના અને ભક્તિ ગીતોની સુરાવલીઓ સાથે અરબી સમુદ્રનું સંગીત સોમનાથ તીર્થને શિવમય બનાવશે અને અહીં આવનારા ભાવિકો ધન્યતાની અનુભૂતિ કરશે.

error: Content is protected !!