ભવનાથમાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે શ્રાવણ માસની ભકિતભાવપૂર્વક ઉજવણી થશે

0

જૂનાગઢ નજીક ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આવેલ શ્રીગોરક્ષનાથ આશ્રમ ખાતે શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન દેવાધિદેવ ભગવાન શિવજીની મહાપૂજા સહિતનાં કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જગ્યાનાં ગાદીપતિ સિધ્ધયોગી પૂ. શેરનાથ બાપુનાં સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે અને જે અંગે તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે. ભવનાથ ક્ષેત્રમાં નાથ સંપ્રદાયની પરંપરાને સતત જાળવી રાખી અને જેઓની સુવાસ દૂર દૂર સુધી ફેલાયેલી છે તેવા ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગુરૂ મહારાજ પૂ. ત્રિલોકનાથ બાપુની પ્રેરણા, માર્ગદર્શન અને તેમના આશીર્વાદ સાથે તેમની કૃપાથી વર્તમાન ગાદીપતિ પૂ. શેરનાથબાપુ દ્વારા ઘણા વર્ષો થયા સદાવ્રત ચાલી રહયું છે. સવારથી જ અહીં આવનાર તમામ લોકોને પ્રેમથી પ્રસાદ પીરસવામાં આવે છે અને મોડે સુધી અન્નક્ષેત્ર ધમધમતું રહે છે. કોઈપણ જાતનાં નાત-જાતનાં ભેદભાવ વિના એકજ પંગતે સર્વેને ભાવતા ભોજનીયા કરાવવામાં આવે છે. ગોરક્ષનાથ આશ્રમમાં પ્રવેશ કરતા જ ભાવિકોનાં મનને એક પવિત્ર વાતાવરણનો અહેસાસ કરાવે છે અને જયાં આદેશનાં રણકાર સાથે પુરા માન સન્માન સાથે આવકારમાં આવે છે. જગ્યાનાં સેવકો, અનુયાયીઓ દ્વારા તેઓની સઘળી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નાનામાં નાની વ્યકિતની પણ ભોજન, રહેવાની તેમજ તેમને કોઈ અવગડતા નથી તે અંગેની સતત કાળજી પૂ. શેરનાથ બાપુ દ્વારા લેવામાં આવતી હોય છે, તેવા આ આશ્રમની સદાવ્રતની ખ્યાતી દુર દુર સુધી ફેલાયેલી છે. કયારેક તો રસોડાનો સમય પુર્ણ થઈ ગયો હોય અને જાે કોઈ પ્રવાસી બસ કે યાત્રાળુ સંઘ આવે તો તેમના માટે તાત્કાલીક વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે આ આશ્રમનાં દ્વારેથી કોઈ ભોજન વિના જઈ શકતું નથી તેવી સુંદર વ્યવસ્થા પૂ. શેરનાથબાપુ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે ગૌવંશની પણ ખૂબજ સેવા કરવામાં આવી રહી છે. પ્રસંગોપાત ધામિર્ક પ્રસંગો પણ ઉજવાતા હોય છે. શિવરાત્રીનો મેળો, પરીક્રમાનો મેળો અને તહેવારોનાં દિવસોમાં દરરોજનાં પ૦૦૦થી વધુ ભાવિકો જયાં પ્રેમથી પ્રસાદ આરોગે છે અને સેવાભકિત અને ધામિર્કતાનુું અલૌકિક વાતાવરણનો અનુભવ કરે છે તેવી આ પાવનકારી જગ્યા ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રીથી લઈ ટોચનાં મહાનુભાવો પણ જયારે પણ જૂનાગઢ આવે છે ત્યારે ગોરક્ષનાથ આશ્રમની અચૂક મુલાકાત લે છે અને પૂ. શેરનાથબાપુનાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આવી આ પાવનકારી જગ્યામાં આગામી તા. ર૯-૭-ર૦રરનાં રોજ શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ભકિતમય અને ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે. જગ્યાના ગાદીપતિ પૂ. શેરનાથબાપુએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ શ્રાવણ માસની આ વખતે પણ ઉજવણી થશે. દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથ શિવજીની વિશેષ પૂજા રૂપે દરરોજનાં પ૦૦૦ બિલીપત્ર દ્વારા ષોડ્‌સોપચારથી વિશેષ પૂજા થશે અને શ્રાવણ માસ દરમ્યાન સવા લાખ બિલીપત્ર ભગવાન શિવજીને ચડાવવામાં આવશે. આ ઉપરાંત દર સોમવારે અભિષેક તેમજ ભોજન માટે વિશેષ રસોઈ અને ભાવતા ભોજન કરાવાશે. આ ઉપરાંત દર સોમવારે સંત ભોજન અને સંતોને ભેટ પૂજા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. ભગવાન ભોળાનાથ દેવાધિદેવ સર્વે ભકતજનો ઉપર અવિરત કૃપા વરસાવે તેવી પ્રાર્થના સાથે આદેશ….

error: Content is protected !!