મુસ્લિમ દેશોમાં હનુમાન કથા કરનારા આચાર્ય વિજયજી ભાટીયા આવતીકાલે દ્વારકા-સોમનાથની યાત્રાએ આવશે

0

હનુમાનજી માટેની અપાર આસ્થાએ નૈનીતાલમાં હનુમાનધામ(રામનગર)ના સ્થાપક બનાવ્યા : છેલ્લા ત્રણ દાયકાઓથી દેશ અને વિદેશમાં હનુમાન કથાકાર અને યોગચાર્ય તરીકે કાર્યરત : નૈનીતાલમાં પર્વતોની હારમાળાના નૈસર્ગિક માહોલમાં હનુમાનધામમાં વિકલાંગો માટે કેર સેન્ટર, નેચરોપેથી કેર સેન્ટર પણ નિર્માણાધીન

છેલ્લા ત્રણ દાયકાઓથી દેશ અને વિદેશમાં ખાસ કરીને અનેક મુસ્લિમ દેશોમાં હનુમાન કથા કરનાર આચાર્ય વિજયજી ભાટીયા તા.૨૫ ઓગસ્ટના રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કરશે. નૈનીતાલમાં હનુમાન ધામ(રામનગર)ના સ્થાપક, હનુમાન કથાકાર અને યોગગુરૂ આચાર્ય વિજય ભાટિયા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને સોમનાથ ખાતે પધારનારા છે. નૈનીતાલ હનુમાન ધામના ૯૦ ભાવિકોના ગ્રુપ સાથે તેઓ તા.૨૫ ઓગસ્ટના દિલ્હી થી રાજકોટ એરપોર્ટ ખાતે સવારે ૯ વાગ્યે પધારશે. તેઓ એરપોર્ટ ખાતે જ સવારે ૯ થી ૧૦ દરમ્યાન ટૂંકુ રોકાણ કરશે ત્યારબાદ તેઓ દ્વારકા જવા રવાના થશે. હનુમાન કથાઓ દરમ્યાન જ આચાર્ય વિજયજીને કળિયુગના દેવ શ્રી હનુમાનજીને સમર્પિત મંદિર બનાવવાનો વિચાર આવ્યો. તેઓની હનુમાનજી માટેની અપાર આસ્થાએ તેમનું સાકાર સ્વરૂપ તેમના અથાગ પ્રયાસોથી અને અનેક દાતાઓના સહકારથી પ્રાપ્ત થયું. આચાર્ય વિજયજીએ ૫૦૦ જેટલી હનુમાન કથા કરી છે. તેમજ ૧૦૦૦ જેટલી યોગ શિબિરમાં યોગચાર્ય તરીકે યોગ નિદર્શન કરાવ્યાં છે. જેમાં ૭૬ હનુમાન કથાઓ વિદેશમાં અને ૪૨૫ કથાઓ તેઓએ દેશમાં કરી છે. તેઓએ આસામ, પશ્ચિમ બંગાલ, યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત સહિતના રાજ્યોમાં હનુમાન કથા અને યોગ શિબિર કરાવી છે. ગુજરાતમાં અમદાવાદ, ભુજ, અંજાર, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, કલોલ, મહેસાણામાં પણ હનુમાન કથા અને યોગ શિબિર કરી ચૂક્યા છે. નૈનીતાલમાં એક દાયકા અગાઉ પર્વતોની હારમાળા અને વનરાજીના નૈસર્ગિક માહોલમાં કળિયુગના કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીનું હનુમાનધામ બન્યું. અતિ પ્રખ્યાત જિમ કોરબેટ પાર્ક પણ અહીં જ આવેલું છે. પહાડી વિસ્તારમાં મન્દિર ઉપરાંત વિકલાંગો માટે કેર સેન્ટર, નેચરોપેથી કેર સેન્ટર પણ કાર્યરત થઈ રહ્યું છે.

error: Content is protected !!