વેરાવળના ડારી ગામે સાતેક દિવસના નવજાત શીશુને સીમેન્ટની થેલીમાં પેક કરી અવાવરૂ ઝાડીઓમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર

0

હાલ ગણેશોત્સવની રંગે ચંગે ઉજવણી ચાલી રહી છે પાંચ દિવસ સુધી ઘરમાં સ્થાપન કરી પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. એવા સમયે તો સોમનાથ નજીકના ડારી ગામે કુમળા ફૂલ જેવા સાત દિવસના બાળકને મૃત્યુ ખાતર ફેંકી (ત્યજી) દેવાયેલી ઘટના સામે આવતા આજે પણ સમાજમાં દાનવો હજુ જીવે છે તેવો વિચાર આવે છે. જાે કે, બાળક રડે છે અને ત્યાંથી નીકળતા રાહદારીને બાળકની એ નબળી કણસ સંભળાતા જીવન મરણનો જંગમાં રહેલા બાળકનો બચાવ થાય છે. આ ઘટના સામાન્ય નથી આ એ વાતનો પુરાવો છે કે આપણા સૌની ઉપર કોઈ શક્તિ છે જે મૃત્યુના મુખમાંથી પણ બાળકને જીવાડીને સલામત હાથોમાં પહોંચાડે છે. કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, જે આજની ત્યજી દીધેલા બાળકની પરિસ્થિતિમાં પૂરેપૂરી સાર્થક સાબિત થાય છે.
વેરાવળ સોમનાથ તાલુકાના ડારી ગામ કે જ્યાં રાત્રિના સમયે ર્નિજન રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા જાવેદભાઈ શામદાર અને તેમના મિત્રોને રસ્તાની નજીકની ઝાડીઓમાંથી ધીમો એવો અવાજ આવતો સંભળાઈ છે. યુવાનો આ અવાજ શેનો છે તે જાેવા ઝાડીઓ તરફ જાય છે અને જે દ્રશ્ય જાેઈ છે તે પથ્થર દિલના વ્યક્તિનું પણ હૃદય પીગળાવી નાખે તેવું જાેવા મળે છે. દ્રશ્ય મુજબ એક સિમેન્ટ અને રેતી ભરવાના લીલા કલરના થેલામાં પ્લાસ્ટિકની થેલીની અંદર પુરાયેલું એક ખૂબ નાનું કુમણું બાળક કે જેના શરીર ઉપર ચોટેલા કાદવ કીચડ, નાજુક પણ છોલાયેલી ચામડી, લાગેલા ઘા અને તેમાંથી નીકળતું લોહી અને બધા ઉપર થેલીમાં પેક હોવાને કારણે દબાઈને મુરઝાતા શ્વાસના લીધે મૃત્યુ તરફ ધક્કો મારતી આ તમામ પરિસ્થિતિમાં જાણે ખુબ નબળા શરીરથી સાતેક દિવસનું બાળક જાણે મૃત્યુની સામે જંગે ચડ્યું હતું. આ બાળકને જાણે જગતનો તાત મદદ કરવા માંગતો હોય તે રીતે ત્યાંથી પસાર થતા લોકોને ખુબ તીણો અવાજ આવ્યો અને આ બાળકને જીવન મરણની જંગમાં ડારી ગામના લોકોનો સાથ મળ્યો હતો. ગામ લોકો દ્વારા સોમનાથ મરીન પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના લીધે પોલીસ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે વાયુવેગે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડારી ગામનો મેડિકલ સ્ટાફ બાળકની સાથે ૧૦૮ માં ઈમરજન્સી કેસ સાથે વેરાવળ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. જાેકે અગાઉ જ મળેલા સંદેશના કારણે બાળકોના ડોક્ટર અજય ઝાલા અને તેમનો મેડિકલ સ્ટાફ બાળકની સારવારની તૈયારી કરી ચૂક્યો હતો. બાળકને સૌપ્રથમ સાફ કરીને તેની ઈજાઓ ને બિનજ્વલનશીલ એન્ટી સેપ્ટિક દવાઓથી સાફ કરવામાં આવ્યો હતો. બાદમાં માસુમ બાળકનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી ઝડપભેર તેને ઓક્સિજન આપવામાં આવ્યું હતુ. બાદમાં તપાસ કરતા ડો.અજય ઝાલાને ખ્યાલ આવેલ કે બાળકને જન્મ સમયથી જ કમળો હશે અને તેની ઉંમર સાત કે આઠ દિવસ હોઈ શકે. જેથી બાળકને કમળાની સારવાર માટે જરૂરી ઇન્જેકશન અને દવાઓ આપેલ જેના લીધે સવાર સુધીમાં માસુમ બાળકની સ્થિતિમાં ઘણો સુધાર જાેવા મળ્યો હતો. આ રીતે કમળાની સામે જન્મથી જ અને દુર્ભાગ્ય રીતે મૃત્યુની સામે કલાકોથી જંગે ચડેલા આ સાત દિવસના ફૂલ જેવા માસુમ બાળકનો જીવન મરણના યુદ્ધમાં હાલ તો વિજય થયો છે. હજુ બાળકને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઘટના અંગે સોમનાથ મરીન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બાળક કોણ આવી હાલતમાં ફેંકી ગયુ તે જાણવા માટે ગામના સરપંચને સાથે રાખી અમુક લોકોના નિવેદન નોંધવાની અને ગામના સીસીટીવી ફુટેજાે તપાસવાની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત ડારી ગામના આરોગ્ય કેન્દ્રમાં પણ તપાસ કરી રહ્યા હોવાનું મરીનના પીઆઈ એન.જી. વાઘેલાએ જણાવ્યું છે.

error: Content is protected !!