પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા

0

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા. પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જાેડાવા ચાલુ વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. ૨૬ સપ્ટેમ્બરને સોમવારના રોજ સવારે ૭ કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામે પ્રાથમિક શાળામાં શ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. પોતાના સંબોધનમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૧થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે. આદ્યશક્તિના આ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામના. નવરાત્રિ આદ્યશક્તિનો પર્વ હોવાથી નારી શક્તિને પ્રોત્સાહિત કરીએ તો આ પર્વ સાર્થક બને. સંબોધન બાદ નરેશભાઈ પટેલ દ્વારા રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થતાં જ ૭ઃ૩૦ કલાકે નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા. પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જાેડાયેલા ભક્તો માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ ઉપર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી. આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, શ્રી ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જાેડાયા હતા. નવરાત્રિ દરમ્યાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ ઉપરાંત જૂનાગઢ, જામનગર, વડોદરા, સુરત, અમરેલી, દામનગર, ભાવનગર, જેતપુર, ઉપલેટા, ગોંડલ, મોરબી, પંચમહાલ ખાતે પણ જાજરમાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારિવારિક માહોલમાં ખેલૈયાઓ ગરબે રમીને મા ખોડલની આરાધના કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

error: Content is protected !!