સુરત શહેર અને જિલ્લાને રૂા.૩૪૭૨ કરોડના ૫૯ વિકાસ કામોની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, જ્યારે તમામ લોકોનો પ્રયાસ મળે છે ત્યારે વિકાસની ગતિ પણ તેજ બને છે અને દેશ પણ ઝડપથી વિકસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પાવન પર્વ સુરત શહેર-જિલ્લામાં કુલ રૂા.૩૪૭૨.૫૪ કરોડના વિવિધ ૫૯ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનએ સુરત મહાનગરપાલિકાના રૂા.૨૪૨૯.૧૮ કરોડ, ડ્રીમ સીટી પ્રોજેક્ટના રૂા.૩૬૯.૬૦ કરોડ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના રૂા.૬૭૩.૭૬ સહિત કુલ રૂા.૩૪૭૨.૫૪ કરોડ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનએ પાણી પુરવઠાના રૂા.૬૭૨ કરોડના કાર્યો, રૂા.૮૯૦ કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્‌સ, રૂા.૧૩૯ કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવા કે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિક વેહિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેને પરિણામે ડાયમંડ સિટી ઓફ ઇન્ડીયા તરીકે ઓળખાતા સુરત શહેર સહિત જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે. છેલ્લા બે દાયકામાં સુરત શહેરના થયેલા વિકાસથી દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ થાય છે. સુરતે દેશની અન્ય શહેરોની સાપેક્ષે બહુ જ ઝડપથી પ્રગતિ કરી છે તેની પ્રધાનમંત્રીએ પ્રસંશા કરી હતી. વડાપ્રધાનએ કહ્યું કે, દેશના તમામ પ્રદેશના લોકો સુરતમાં વસે અને વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી આ શહેર મિનિ હિન્દુસ્તાનની પ્રતીતિ કરાવે છે. શ્રમનું સન્માન કરવું એ સુરતની વિશેષતા છે અને અહીં ક્ષમતાની કદર થવા સાથે પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે અને જીવનમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. એટલું જ વિકાસની રાહમાં પાછળ રહી ગયેલા વર્ગનો હાથ પકડી આ શહેર તેને આગળ લઇ જાય છે. સુરતની આ ભાવના આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં મોટી તાકાત બનવાની છે. સુરતે ભૂતકાળમાં રોગચાળો, પૂર જેવી કુદરતી આપત્તિનો સામનો કર્યો છે અને તે આપત્તિને અવસરમાં પલટાવી આ શહેર ફરી બેઠું થયું છે, સુરતે આ વિકાસ માટે બે દાયકા પહેલા એક મોડેલ અપનાવ્યું હતું. આ મોડેલ એટલે પીપીપી અને તેમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની ચર્ચા થતી હતી. પરંતુ, આ ત્રણ પીમાં ચોથો પીપલ્સનો પી અપનાવી વિકાસનું એક નવું મોડેલ દેશ સમક્ષ રજૂ કરી કોઇ પણ શહેરનું દરેક ક્ષેત્રમાં બ્રાન્ડિંગ કેવી રીતે થાય તે સુરતે કરી બતાવ્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું. નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યું કે, સુરતની અનેક પ્રકારની છબી આપણી સમક્ષ છે. સુરતનું જમણ પ્રસિદ્ધ છે. વિકાસની રાહ ઉપર ચાલતા સુરતે હવે સેતુ શહેર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. તેની સાથે પહેલા ડાયમન્ડ સિટી, ગ્રિન સિટી, ટેક્સટાઇલ સિટી બાદ હવે ક્લિન સિટી અને સ્માર્ટ સિટી તરીકેની પહેચાન બનાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે સુરત શહેરમાં ૨૫ ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા છે. હજું ૫૦૦ સ્ટેશન શરૂ કરાશે. સુરતમાં આગામી સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ૮૦ ટકા વાહનો ઇલેક્ટ્રિક થશે. એટલે સુરત ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે પણ ઓળખાશે. સુરત શહેર માનવીયતા, રાષ્ટ્રીયતા અને સમૃદ્ધિના સંગમથી સૌને સાથે જાેડવાનું કામ કરી રહ્યું છે. સુરતના કાપડ અને હિરાઉદ્યોગથી અનેક પરિવારોને રોજગારી મળી રહી છે. હવે ડ્રિમસિટી પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુરત સમગ્ર વિશ્વમાં ડાયમન્ડ ટ્રેડ સેન્ટર તરીકે વિકસિત થશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે સુરતમાં પાવર લૂમ્સ મેગા ક્લસ્ટર બનાવવા માટેની મંજૂરી આપી છે. તેના પરિણામે પ્રદૂષણને લગતી સમસ્યાઓનું નિરાકરણ થશે અને વેપારીઓને લાભ થશે. તેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય લોજીસ્ટિક નીતિ જાહેર કરવામાં આવી છે. જેને પરિણામે સુરતના વ્યાપાર, કારોબારને વધુ ફાયદો થશે. મલ્ટિમોડેલ કનેક્ટિવિટીની ઘોઘા-હજીર રોરો પેક્સ ફેરીથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધી છે. તેનાથી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જેવા વિસ્તારના કૃષિ અગ્રિમ વિસ્તારનું સુરત સાથે જાેડાણ ટૂંકુ થયું છે. જેમાં હજીરા ટર્મિનલ તૈયાર થવાથી વધુ રૂટ ખુલશે અને કૃષિક્ષેત્રને ફાયદો થશે તેમ મોદીએ કહ્યું હતું. વડાપ્રધાનએ ઉમેર્યું કે, સુરતનું કાપડ બજાર કાશી અને પૂર્વોત્તર ઉત્તરપ્રદેશની સારી રીતે જાેડાયેલું છે. સુરતથી કાશી સુધી માલસામાનની સરળ હેરાફેરી માટે એક ટ્રેઇન શરૂ કરવામાં આવનાર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, સુરત શહેરે ગરીબોને આવાસ આપવાનું કામ પણ સારી રીતે કર્યું છે. સુરતમાં શહેરી ગરીબો માટે ૮૦ લાખ જેટલા આવાસોનું નિર્માણ કરી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સારૂ આશ્રયસ્થાન મળ્યું છે અને તેમના જીવનધોરણમાં સુધારો થયો છે. તત્કાલીન કેન્દ્ર સરકાર પાસે વારંવાર માંગણી કરવા છતાં સુરતને એરપોર્ટ આપવામાં આવતું નહોતું. હવે આ ડબલ એન્જીનની સરકારે સુરતમાં આધુનિક એરપોર્ટ સાથે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ પણ આપ્યો છે. અમારી સરકાર લોકજરૂરિયાતને ધ્યાને રાખી વિવિધ પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી તો આપે જ છે, સાથે તે પ્રોજેક્ટને જલ્દી પૂરા પણ કરાવે છે. તેમ વડાપ્રધાનએ ઉમેર્યું હતું.

error: Content is protected !!