વીજચોરો સામે તંત્રની લાલ આંખ : તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

0

ગીર-સોમનાથ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી

છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો ઉપર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે. ગઈકાલે આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની પ્રભાસપાટણ, સુત્રાપાડા તેમજ પ્રાંચી પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૭ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૩૬૦ જેટલા વીજજાેડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૬૮ વીજજાેડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂા.૯.૯ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨૨ થી જાન્યુઆરી-૨૩ ના સમયગાળા દરમ્યાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬૬૨૯ વીજજાેડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૨૮૯૯ વીજજાેડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂા.૭૫૧.૧૨ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમ્યાન કુલ ૫૬૯૧૬૮ વીજજાેડાણો ચકાસીને કુલ ૬૭૫૮૪ વીજજાેડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂા.૧૭૪.૮૮ કરોડના બિલ આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો ઉપર પણ લગામ કસવામાં આવી છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

error: Content is protected !!