માંરગોળના લંબોરા ગામે જાહેરનામા ભંગની ફરિયાદ

0

માંગરોળ તાલુકાના લંબોરા ગામે ચાલતું મરઘા ફાર્મ બંધ કરવા તેમજ વિવાદિત જગ્યાએથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના કોર્ટના હુકમનું પાલન ન થતાં સબ ડિવિ. મેજીસ્ટ્રેટે ફાર્મના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાવી છે. લંબોરા ગામના સર્વે નં.૯૮ પૈકીની જમીનમાં ચાલતા મરઘાં ફાર્મનો મામલો સબ ડિવિ. મેજી.(કેશોદ)ની કોર્ટમાં પહોંચ્યો હતો. જે અંતર્ગત ગત તા.૨૨/૦૪/૨૨ના રોજ આ મરઘા ફાર્મ વિવાદ વાળી જગ્યાએથી ખસેડવા હુકમ કરાયો હતો. જેની સામે ફાર્મના સંચાલકે એડી.ડિસ્ટ્રી. એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. જે ૨૩/૦૨/૨૦૨૩ના નામંજુર કરવામાં આવી હતી અને સબ ડિવિ. મેજી.નો હુકમ કાયમ રાખવામાં આવ્યો હતો. હુકમમાં દર્શાવેલ સમય મર્યાદા પૂર્ણ થતાં નાયબ પોલીસ અધિક્ષક, જીપીસીબી (જુનાગઢ), ના.પશુપાલન નિયામક તથા મામલતદારને હુકમની અમલવારી કરી રિપોર્ટ કરવા જણાવાયું હતું. મામલતદારે ૨૧/૦૭/૨૨ અને ૧૪/૦૩/૨૩ના સંચાલકને પત્ર પાઠવી ફાર્મ બંધ કરવા તેમજ મરઘાંનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા જણાવ્યું હતું. દરમ્યાન તાજેતરમાં મામલતદાર દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં આ મરઘાં ફાર્મ બંધ કરવામાં આવેલ ન હોવાનું જાહેર થયું હતું. કચેરીના ૨૨/૦૪/૨૨ના હુકમનો ભંગ થતાં આઈપીસી કલમ ૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરી ફોજદારી રાહે કાર્યવાહી કરવા જણાવાયું છે.

error: Content is protected !!