મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલ

0

એહમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ માટેનું રાજ્ય મંત્રી પટેલના હસ્તે મહાત્મા મંદિર ખાતેથી ઇ-ખાતમૂહુર્ત કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ સાથે મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં મેન્ગ્રુવના વાવેતર, કાર્બન ક્રેડીટ, લોક ભાગીદારીથી ગ્રેટ ગ્રીનવોલ ઓફ ગુજરાત માટેના ત્રણ કંપનીઓ સાથે ટ્રાઇ પાર્ટી MOU કરાયા છે તેમ, આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે Coastal Security- MISHTI Initiative અંતર્ગત યોજાયેલ એક દિવસીય વર્કશોપનું ઉદઘાટન કરતાં વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું. આ વર્કશોપમાં એહમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ માટેનું મંત્રી પટેલના હસ્તે મહાત્મા મંદિર ખાતેથી ઇ-ખાતમૂહુર્ત કરાયું હતું. જેને ગુજરાત સરકાર દ્વારા બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવામાં આવશે. વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલે વિગતો આપતાં કહ્યું હતું કે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes (MISHTI) યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત દેશનાં ૧૧ રાજ્યો અને ૦૨ કેન્દ્રશાસીત પ્રદેશોમાં વર્ષ ૨૦૨૩થી શરૂ કરી પાંચ વર્ષમાં વાવેતરની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ તેમજ સંશાધનોનો સુવ્યવસ્થિત ઉપયોગ કરી આશરે ૫૪૦ ચો.કી.મી. વિસ્તારમાં મેન્ગ્રુવનું વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દેશમાં પ્રથમ વાર ગુજરાતમાં Coastal Security- MISHTI Initiative અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વિવિધ સંસ્થાઓ સાથે MOUકરનાર પણ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતું. મંત્રીએ કહ્યું હતું કે, વન સહભાગી મંડળીની જેમ જ મેન્ગ્રુવ સહભાગી મંડળીઓ બનાવી તેના દ્વારા મેન્ગ્રુવનાં વાવેતર તેમજ સંરક્ષણ કરવામાં આવશે. વધુમાં, રાજ્યમાં મેન્ગ્રુવનાં વાવેતર સંરક્ષણ તેમજ મેનેજમેન્ટ માટે એક ફાઉન્ડેશન બનાવવાની બાબત રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવનાર છે. જેમાં વિવિધ ઔદ્યોગિક ગૃહો દ્વારા CSR એક્ટીવીટી નીચે ફંડ જમા કરાવી શક્શે તેમજ આ ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં આવેલ મેન્ગ્રુવ વિસ્તારમાં વ્યવસ્થાપન કરવામાં આવશે. આ સંદર્ભે મંત્રી દ્વારા નીતિનિર્ધારણની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી અને તાત્કાલિક અમલવારી થાય તે જાેવા માટે સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યા હતાં. મંત્રીએ કહ્યું હતું કે ગુજરાત રાજ્યને દેશમાં મેન્ગ્રુવનાં વાવેતર તેમજ સંરક્ષણ ક્ષેત્રે દેશનું નંબર.૧ રાજ્ય બનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં સપનાને સાકાર કરવું છે. જે અંતર્ગત ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા નિતીનિર્ધારણની પ્રક્રિયા ચાલુ છે. આ નિતી નિર્ધારણનાં કાર્યમાં આજના વર્કશોપમાં ઉપસ્થિત વિવિધ તજજ્ઞો પાસેથી સૂચનો પણ લેવાયા છે જેનો નિતીનિર્ધારણમાં સમાવેશ કરવામાં આવશે. આ એક દિવસીય વર્કશોપમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરલ વિગેરે રાજ્યોમાંથી આશરે ૨૩૦ જેટલા તજજ્ઞો, સંશોધકો, અધિકારીઓ અને નિતીનિર્ધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!