જન્માષ્ટમીએ દર વર્ષે લોકમેળામાં ઉંચા ફજર ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ લેતા સૌરાષ્ટ્રભરના દસ લાખ લોકો

0
  • વર્ષ ૧૯૫૩ થી વિવિધ સંસ્થાઓ, ૧૯૮૪ થી રાજ્ય સરકાર અને ૧૯૮૬થી વહિવટી તંત્ર દ્વારા લોકમેળો યોજાવાની શરૂઆત : ૨૦૦૩થી ત્રણને બદલે પાંચ દિવસ યોજાતો મેળો : તા.૫ થી ૯ સપ્ટેમ્બર સુધી રાજકોટમાં યોજાનારા ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’માં ૩૫૫ રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સ્ટોલ-પ્લોટ

રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જાેતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જાેવાનો પ્રસંગ છે જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે, એમ પ્રત્યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે. રાજકોટના મેળાનો ઇતિહાસ જાેઇએ તો ૧૯૫૩ સુધી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે ૧૯૮૪માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવ્યો. આ આયોજનનું ૧૯૮૫માં પણ પુનરાવર્તન કરાયું ત્યાર બાદ, ૧૯૮૬થી સરકારી અધિકારીઓની વિવિધ સમિતિ દ્વારા આયોજનબધ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત થઇ. આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ ૨૦૦૩થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. મેળાના સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાચ દિવસનો કરવામાં આવ્યો. લોકમેળાના આયોજનના આ વિકેન્દ્રીકરણની લીધે રાજકોટનો મેળો વહીવટી રીતે નમૂનેદાર બન્યો છે. કોરોનાની મહામારી દરમ્યાન જાહેર જનતાના હિતાર્થે ૦૨ વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે. આ સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ તથા સ્ટોલની ફાળવણી ડ્રો અને હરરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. ચાલુ વર્ષે તા. ૦૫ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે ૩૫૫ સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના ૧૭૮ સ્ટોલ, ખાણીપીણીના ૧૪ સ્ટોલ, મધ્યમ ચકરડીના ૦૪ પ્લોટ, નાની ચકરડીના ૪૮ પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જયારે ખાણીપીણીના ૩૭ સ્ટોલ, યાંત્રિકના ૪૪ પ્લોટ, આઈસ્ક્રીમના ૧૬ પ્લોટ, ફૂટ કોર્ટના ૦૩ પ્લોટ, ૦૧ ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકમેળામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ૦૩ ડી.સી.પી., ૧૦ એ.સી.પી., ૨૮ પી.આઈ., ૮૧ પી.એસ.આઈ., ૧૦૬૭ પોલીસ, ૭૭ એસ.આર.પી. સહીત કુલ ૧૨૬૬ જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત ૧૦૦ ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે ૧૮ વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂા.૪ કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે. ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી ૧૭ જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે. લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. ૧૩ જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરૂ પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સી ને સ્ટોલ ફાળવાયા છે. દર વર્ષે થતી લોકમેળાની નામકરણ પ્રણાલિ મુજબ આ લોકમેળાને અગાઉ “જમાવટ”, “ગોરસ”, “અમૃત” સહીતના લોકરૂચિના નામો અપાયા હતા. તાજેતરમાં ચાલુ વર્ષના લોકમેળા માટે ૨૫૨ લોકોએ લોકમેળા માટેના નામો સૂચવ્યા હતા, જેમાં વિપુલ સંઘાણી નામના વ્યક્તિ દ્વારા સૂચવેલ “રસરંગ” નામની પસંદગી થઈ હતી. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા કરાયા હતા.

error: Content is protected !!