દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય ઉજવણી સંદર્ભે ખાસ બેઠક યોજાઈ

0

યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઉત્સવની પારંપરિક ઊજવણી થનાર છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભાવિકો ઉમટી પડે તેવી સંભાવના છે. આના અનુસંધાને તાજેતરમાં ખંભાળિયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે એક મિટિંગ યોજવામાં આવી હતી. જેના સંદર્ભે દ્વારકામાં તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓ અંગે ગઈકાલે ગુરૂવારે સાંજે દ્વારકાધીશ મંદિરની વહીવટદાર કચેરી ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તંત્રના વિવિધ વિભાગોએ કરેલી કામગીરી અંગેની વિગતો તેમજ આનુષાંગિક જરૂરી માહિતીના રીવ્યુ કરવામાં આવ્યા હતા. દ્વારકા ખાતે આગામી તા. ૭ ના રોજ જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લાના એ.એસ.પી. રાધવ જૈનના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અહીંના એએસપી રાધવ જૈને જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. કૃષ્ણના જન્મપર્વ નિમિત્તે અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય, ત્યારે અહીં ટ્રાફિક સમસ્યા ન સર્જાય, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો ઉપર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું. આ ઉપરાંત દિવ્યાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં પ્રવેશની અલગ વ્યવસ્થા કરવા અંગે તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતની પણ ખાસ તકેદારી રાખવા અંગેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રાથમિક સારવારની સુવિધા ઊભી કરવા તેમજ પુરતા પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડી.વાય.એસ.પી. સમીર સારડા, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!