ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં આહીર વૃદ્ધનું મૃત્યું : દંપતિ ખંડિત થતા અરેરાટી

0

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગતસાંજે પૂર ઝડપે જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આ માર્ગ ઉપર મોટરસાયકલ ઉપર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા બાઈક સવાર આહિર વૃદ્ધનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. જ્યારે તેમના ધર્મ પત્નીને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રણમલભાઈ ધાનાભાઈ ચાવડા નામના ૬૫ વર્ષના આહિર વૃદ્ધ તેમના ધર્મપત્ની ભીનીબેન ચાવડાને સાથે લઈને ગતમોડી સાંજે તેમના જીજે-૩૭-એ-૭૫૮૯ નંબરના મોટરસાયકલ ઉપર બેસી અને ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર આહિર કન્યા છાત્રાલય પાસે પહોંચતા આ માર્ગ ઉપર આવી રહેલી જીજે-૦૩-બીટી-૮૫૧૦ નંબરની પાયલ ટ્રાવેલ્સની બસના ચાલકે રણમલભાઈના મોટરસાયકલ સાથે ધડાકા અકસ્માત સર્જ્‌યો હતો. આ જીવલેણ ટક્કરમાં બાઈક ઉપર જઈ રહેલું આહિર દંપતિ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયું હતું અને રણમલભાઈ ચાવડાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યું નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા ભીનીબેન ચાવડાને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ રણમલભાઈ ચાવડા(ઉ.વ. ૩૫, રહે. કુવાડીયા)ની ફરિયાદ ઉપરથી ખંભાળિયા પોલીસે પાયલ ટ્રાવેલ્સની બસના ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. અકસ્માતના આ બનાવે કુવાડીયા ગામ તેમજ આહીર સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

error: Content is protected !!