ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા.૩૧ ઓક્ટોબર સુધી લંબાવાઈ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

0

રાજ્યમાં અત્યાર સુધીમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો અને સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતોએ નોંધણી કરાવી : ટેકાના ભાવે ખરીદી તા.૨૧-૧૦-૨૦૨૩થી શરૂ કરાશે : વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો : ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂા.૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. ટન સોયાબીનની ખરીદી કરાશે

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા.૨૫-૯-૨૦૨૩ થી તા.૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, તા. ૧૫ ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતો, મગ પાક માટે ૯૫ ખેડૂતો અને અડદ પાક માટે ૬૨ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થઈ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂા.૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂા.૬૩૭૭/- કિવ., મગનો ટેકાનો ભાવ રૂા.૮૫૫૮/- કિવ., અડદનો ટેકાનો ભાવ રૂા.૬૯૫૦/- કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂા.૪૬૦૦/- કિવ. જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો ઉપર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે.

error: Content is protected !!