ભાણવડમાં જામનગરના ચાર આહીર પરિવારજનોના સામુહિક આપઘાત પ્રકરણમાં બે આરોપી શખ્સોને ઝડપી લેવાયા

0
પઠાણી ઉઘરાણીથી કંટાળીને આપઘાત કરી લીધા અંગે પોલીસ ફરિયાદ : જામનગરના બન્ને આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલી જામનગરના આહિર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહ સંદર્ભે સામુહિક આપઘાતના નોંધાયેલા પ્રકરણમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા બે શખ્સો સામે પોતાના ભાઈ તેમજ તેમના પરિવારજનોને મરી જવા માટે મજબૂર કરવા સબબની ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે જામનગરના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.
      જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં માધવબાગ – 1 ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ. 42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 42), જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા (ઉ.વ. 20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 18) નામના ચાર પરિવારજનોએ બુધવારે ધારાગઢ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.
      આ ચકચારી સામૂહિક આત્મહત્યા આ પ્રકરણમાં પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી ઝેરી દવાનું ડબલું, પ્લાસ્ટિકના ગ્લાસ, થમ્સ અપની બોટલ વિગેરે મળી આવ્યા હતા. વધુ તપાસમાં આ સ્થળેથી પ્લાસ્ટિકના ઝબલામાંથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત હાથે લખેલી ચીઠ્ઠી, મૃતકના પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ વિગેરે પણ સાંપળ્યા હતા.
       આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ તેમજ મોબાઈલ ફોનની ચકાસણી અને ચિઠ્ઠીના આધારે મૃતક અશોકભાઈ ધુવાના નાનાભાઈ એવા લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના કનસુમરા ખાતે રહેતા વિનુભાઈ જેઠાભાઈ ધુવા (ઉ.વ. 41) એ વિશાલ જાડેજા દરબાર (વી.એમ. મેટલ વારા) અને અન્ય એક શખ્સ વિશાલ પ્રાગડા સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
       આ પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક અશોકભાઈના મૃતદેહ પાસેથી સાંપળેલા અલગ અલગ મોબાઈલ ફોનમાં રહેલા વોટ્સએપ મેસેજ તેમજ વીડિયો ક્લિપ ઉપરાંત અહીંથી મળી આવેલી સ્યુસાઈટ નોટના આધારે ખુલવા પામ્યું હોતું કે એક વીડિયો ક્લિપમાં ચાર વ્યક્તિઓ અશોકભાઈને ધમકાવતા અને મારતા હતા અને કોઈ પ્રકારનું લખાણ લખાવી અને તેના કાગળો પોતે રાખી લીધા હતા. અન્ય એક મોબાઈલ નંબર પર મંગળવારે કાલે કાળા કલરની બોર્ડર વાળી નોટમાં લખેલા લખાણમાં “વી.એમ. મેટલ વિશાલ જાડેજા પાસેથી અમે માલ દીધો હતો. તેના રૂપિયા 20 લાખ તેમજ ત્યાર બાદ પિયુષ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં હું અશોકભાઈ માલ લઈ ગયો. હું તેના રૂપિયા 5,87,962 મારે આપવાના છે. ત્યાર બાદ ચામુંડા એન્ટરપ્રાઇઝમાં મારા જુદા જુદા બે બિલના પૈસા માટે ભવાની એન્ટરપ્રાઇઝમાં લેઝર મુજબના નાણા મારે આપવાના છે. આ બધી જવાબદારી હું તથા મારો પુત્ર જતીન અશોક ધુવા પૈસાની જવાબદારી લઈએ છીએ. અમને એક પણ વસ્તુની જોર-જબરજસ્તી કરવામાં આવી નથી. અમે માલ દીધો છે, તેના પૈસા અમે ચૂકવ્યા નથી”- તે મતલબનું લખાણ જોવા મળ્યું હતું.
      મૃતક અશોકભાઈના પત્ની લીલુબેનના મોબાઈલમાં “ભાઈ”ના નામથી સેવ કરેલા ચોક્કસ નંબર પરથી ત્રણ વીડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. જેમાં કુલ ચાર વ્યક્તિઓ દ્વારા અશોકભાઈને ધમકાવી મારતા હોવાનું અને નોટમાં કંઈ લખાવી તેના કાગળો લઈ લીધાનું જણાયું હતું. અશોકભાઈ પાસે પૈસાની કડક ઉઘરાણી “ભાઈ”ના નામથી નામના વ્યક્તિને વોટ્સએપ મેસેજમાં “વિશાલ જાડેજા દરબાર વી. એમ. મેટલ વાળાએ બળજબરી કરી, પૈસા લેવા માટે. તેનાથી અમોને હેરાન છીએ”. “તેણે અમને ખૂબ હેરાન કર્યા છે. તેનાથી અમો મરી જઈએ છીએ”- જેવા જુદા જુદા છ મેસેજ પણ હોવાનું ખુલવા પામ્યું છે.
      આ ઉપરાંત અહીંથી મળેલા એક સફેદ કાગળમાં અમારી પાસે ઘણા બધા માણસો પૈસા માટે હેરાન કરતા હતા. તો તેનાથી વિશાલ દરબાર વી.એમ. મેટલ અમને હેરાન કરતા હોવાથી દવા પી લઈએ છીએ. વિશાલ પ્રાગડા સમર્પણ વાળા પાસે અમે રૂ. 5.53 લાખ માંગીએ છીએ. જે ચાર મહિનાથી આપ્યા નથી. વિશાલ દરબારે મને માર્યો અને તે બિલ કૌભાંડ કરે છે. ને ખોટા બિલના પૈસા હતા, તે ખોટા તેને લેવા હતા. મારી પાસે કાંઈ માંગતો નથી. તેથી દવા પીને મરણ પામીએ છીએ”. તે મતલબનું લખાણ પોલીસને સાંપળ્યું છે.
     આમ, આ સમગ્ર પ્રકરણમાં મૃતક આહિર પરિવારના મોભી એવા અશોકભાઈ જેઠાભાઈ ધુવા, તેમના પત્ની તથા અભ્યાસ કરતા યુવાન પુત્ર અને પુત્રીએ વિશાલ જાડેજા દરબાર વી.એમ. મેટલ વાળાએ મરણ જનાર અશોકભાઈ પાસેથી રૂપિયા 20 લાખ લેવાના છે તેવો હિસાબ કરી, આ પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે ડરાવી, ધમકાવી, માર મારી, નોટમાં તે મુજબનું લખાણ લખાવી લઈ અને કડક ઉઘરાણી કરી હોવા ઉપરાંત સમર્પણ સેલવારા વિશાલ પ્રાગડાએ પણ અશોકભાઈને આપવાના થતા રૂપિયા 5.53 લાખ લાંબા સમયથી નહીં આપતા આખરે તમામ ચાર પરિવારજનોએ ગઈકાલે જામનગરથી બે સ્કૂટર મારફતે નીકળી જઈ અને ભાણવડના ધારાગઢ ગામે ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધો હોવા અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 108, 115 (2), 308 (ક) તથા 54 મુજબ ગુનો નોંધ્યો છે.
      આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. પી. પી. બ્રહ્મભટ્ટ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
        આ અત્યંત ચકચારી અને ગંભીર બનાવ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, તપાસનીસ અધિકારી પી.આઈ. પ્રશાંત બ્રહ્મભટ્ટ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સીંગરખીયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, સહિતના અધિકારીઓની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, જુદી જુદી ટીમ બનાવીને આ પ્રકરણમાં આરોપી એવા જામનગરના વિશાલસિંહ ફતુભા જાડેજા અને વિશાલ પરસોતમભાઈ પ્રાગડા નામના બંને શખ્સોને ગત સાંજે જ ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં તાકીદની કાર્યવાહી અર્થે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી.
error: Content is protected !!