ખંભાળિયામાં થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ચીખલીગર ગેંગના સભ્યને ઝડપી લેવાયો

0
ખંભાળિયા શહેરના રહેણાંક વિસ્તાર હરસિધ્ધિ નગર ખાતે ગત તારીખ 7 જુલાઈના રોજ એક આસામીના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સાહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભવામાં આવી હતી.
       જે અંતર્ગત પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ સી.સી. ટી.વી. ફૂટેજ ચેક કરવા તેમજ અન્ય કામગીરી દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, ભરતભાઈ ચાવડા, લાખાભાઈ પિંડારિયા અને દિનેશભાઈ માડમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન જામનગરમાં રહી અને ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા શેરસીંગ ઉર્ફે સુરજસીંગ રણજીતસીંગ ખીરચી નામના શખ્સને ખંભાળિયા નજીકના આહિર સિંહણ ગામ તરફ જતા માર્ગેથી ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલા હોન્ડા સાઈન મોટરસાયકલ મારફતે નીકળતા એલસીબી પોલીસે ઝડપી લઈ અને સધન પૂછતાછ કરતા આરોપી શેરસીંગ ઉર્ફે સુરજસીંગ ખીરચીએ તેના નાનાભાઈ તથા દિકરા સાથે મળી અને હરસિધ્ધિ નગરના રહેણાંક મકાનના તાળા તોડી, ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
       આથી પોલીસે સોનાની બુટ્ટી, ચાંદીના સાંકળા ઉપરાંત રોકડ રકમ, બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 70,750 ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી લીધી હતી. વધુમાં જાહેર કરાયેલી વિગત મુજબ ચીખલીગર ગેંગના સભ્ય અને અગાઉ 30 જેટલા ગુનામાં પણ ઉપરોક્ત આરોપી ઝડપાયો હતો. આ ચોરી પ્રકરણમાં હાલ વડોદરા ખાતે રહેતા મનજીતસીંગ રણજીતસીંગ અને શનિસીંગ શેરસીંગ ખીરચી નામના બે શખ્સોના નામ પણ ખુલતા બંનેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. જે અંગે આગળની તપાસ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવી છે.
       આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ મારુ, ભરતભાઈ ચાવડા, સજુભા જાડેજા, લાખાભાઈ, દિનેશભાઈ, સચીનભાઈ, ધર્મેન્દ્રસિંહ, નરસિંહભાઈ, હસમુખભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
error: Content is protected !!