ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાંથી સસ્તા અનાજનો બિનઅધિકૃત જથ્થો ઝડપાયો : પરપ્રાંતિય શખ્સોની પૂછતાછ

0

બે બોલેરો ભરાય તેટલો સાડા ચાર હજાર કિલો જેટલો જથ્થો કબજે લેવાયો

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સોમવારે અહીંના મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે બોલેરો વાહન ભરાય તેટલો ઘઉં તથા ચોખાનો સાડા ચાર હજાર કિલો જથ્થો કબજે લઈ, જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા વિસ્તારમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા અનાજનો જથ્થો લઈને પરપ્રાંતિય શખ્સો દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હોવાથી આ મુદ્દે પ્રાંત અધિકારી કે કે કરમટાના માર્ગદર્શન હેઠળ અહીંના મામલતદાર વિક્રમ વરુ તેમજ સ્ટાફ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા તાલુકાના નવી ફોટ ગામે કાચા ગોડાઉન જેવા મકાનમાં ચેકિંગ કરવામાં આવતા અહીં ઘઉં તથા ચોખાનો જથ્થો સાંપડ્‌યો હતો. આ સ્થળેથી કેટલાક પરપ્રાંતિય ઈસમોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મામલતદાર તંત્રની આ તપાસમાં આ સ્થળેથી આશરે ૩૦૦૦ કિલો ચોખા તેમજ ૧૫૦૦ કિલો ઘઉંનો જથ્થો હાલ શક પડતી મિલકત તરીકે કબજો કબજે લઈ અને આ અંગે આજે તો ક્યાંથી આવ્યો તે અંગેની તપાસ કરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકામાં રાજસ્થાન બાજુના કેટલાક શખ્સો બાઈક મારફતે જુદા જુદા વિસ્તારોમાંથી આ પ્રકારના સસ્તા અનાજનો જથ્થો ખરીદ કરી અને અન્ય સ્થળે મોકલી દેતા હોવાનું પણ કહેવાય છે. ત્યારે ઝડપાયેલા આશરે સાડા ચાર હજાર કિલોગ્રામ જેટલા સસ્તા અનાજના જથ્થાને અહીંના સરકારી ગોડાઉનમાં હાલ રાખીને આ સંદર્ભેની તપાસ બાદ જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!