ઈરાનનો નવો શાંતિ પ્રસ્તાવ ટ્રમ્પે ફગાવ્યો : છેલ્લી વોર્નિંગ આપી
(એજન્સી) વોશિંગ્ટન તા.૨
અમેરિકા-ઈરાન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને રોકવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. અને જ્યાં સુધી ઈરાન યોગ્ય શરતો સાથે આગળ નહીં આવે ત્યાં સુધી અમેરિકા કોઈ સમજૂતી પર હસ્તાક્ષર કરશે નહીં તે સ્પષ્ટ કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સામે આકરો વલણ અપનાવતા બે વિકલ્પો રજૂ કર્યા છે: ઈરાન પર હુમલો કરી તેને હંમેશા માટે ખતમ કરી દેવું. અથવા યોગ્ય શરતો સાથે શાંતિ કરાર કરવો. ટ્રમ્પે ઉમેર્યું કે, "માનવીય ધોરણે હું સમજૂતીને પ્રાથમિકતા આપું છું, ઈરાન સમજૂતી માટે બેતાબ છે કારણ કે તેની હાલત અત્યંત ખરાબ છે." તેમણે એવી પણ આગાહી કરી છે કે યુદ્ધ સમાપ્ત થતાની સાથે જ તેલ અને ગેસના ભાવમાં ભારે ઘટાડો થશે.
તેહરાને યુદ્ધ રોકવા અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા માટે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, મુખ્ય વિવાદ પરમાણુ કાર્યક્રમ પર છે: ઈરાન ઈચ્છે છે કે યુદ્ધ અત્યારે જ સમાપ્ત થાય, પરંતુ પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા પછીથી કરવામાં આવે. જ્યારે ટ્રમ્પ ઈચ્છે છે કે પરમાણુ મુદ્દાનો સમાવેશ અત્યારે જ સમજૂતીના મુસદ્દામાં કરવામાં આવે. ઈરાને ગેરંટી આપવી પડશે કે તે પોતાની પરમાણુ સાઇટ્સ પર કોઈ ગતિવિધિ કરશે નહીં.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વધતા તણાવને કારણે, અમેરિકા પાસે ઈરાન પ્રત્યેના તેના અભિગમમાં મુશ્કેલ પસંદગીનો સામનો કરવો પડી રહ્યો છે: કાં તો વાતચીત દ્વારા મામલો ઉકેલવો અથવા લશ્કરી સ્તરે તણાવ વધારવો. સેન્ટકોમ કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર દ્વારા બ્રીફિગ વિશે પૂછવામાં આવતા, ટ્રમ્પે પત્રકારોને કહ્યું, વિકલ્પો છે. શું આપણે જઈને તેમને ખરાબ રીતે નાશ કરવા માંગીએ છીએ. તેમને કાયમ માટે નષ્ટ કરવા માંગીએ છીએ અથવા આપણે કોઈ સોદો કરવાનો પ્રયાસ કરવા માંગીએ છીએ. તે વિકલ્પો છે.


