જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમ ફરી એકવાર છલકાયા

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી જ મેઘાવી માહોલ સર્જાયો હતો અને હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો. અવારનવાર ઝાપટાઓ પડતા હતા આ દરમ્યાન બપોરના ર થી ૪ દરમ્યાન જૂનાગઢ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો જેને કારણે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવર અને શહેરને પાણી પુરૂં પાડતા વિલીંગ્ડન ડેમ ફરી એકવાર ઓવરફલો થયા હતા. જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય તેમજ જિલ્લાના વિવિધ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયાના અહેવાલ છે. જૂનાગઢમાં વરસાદે બે દિવસ વિરામ લીધા બાદ ગઈકાલે મેઘરાજાએ મહેર કરી અને જૂનાગઢવાસીઓ ઉપર મન મુકીને વરસ્યા હતા અને માત્ર બે કલાકમાં જ અઢી ઈંચ જેટલો વરસાદ પડી જતાં જૂનાગઢ શહેર પાણી-પાણી થઈ ગયું હતું. ધોધમાર વરસાદને પગલે જૂનાગઢ શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને કેટલાક માર્ગો ઉપર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ શહેરના અનેક માર્ગો ઉપર ખાડા પડી ગયા છે ત્યારે આવા રસ્તાઓ ઉપર ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાયા હતા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જૂનાગઢ શહેરના અનેક માર્ગો ઉપર ભૂગર્ભ ગટર માટે ખોદાણ કરાયા બાદ નવા રસ્તા બનાવાયા ન હોવાથી રસ્તા ઉપરથી લોકોને ચાલીને જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વંથલીમાં ૪ ઈંચ, મેંદરડામાં ૧ ઈંચ અને વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ ૬૧.૧૦ ટકા નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!