શ્રાવણ માસમાં ૧૦ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ સોશ્યલ મીડીયાના માધ્યમથી ૧૨.૭૫ કરોડ શિવભક્તોએ ઘરે બેઠા સોમનાથ મહાદેવનાં દર્શનનો લ્હાવો લીધો

0

શિવની ભક્તિના પવિત્ર ગણાતા એવા સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા ભાવિકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. જ્યારે શ્રાવણ માસમાં આવતા ચાર સોમવાર, જન્માષ્ટમી, અગીયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વોના દિવસોની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી.  શિવની ભક્તિ માટે ઉત્તમ ગણાતા સમગ્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૧૦ લાખથી વધુ શિવ ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ માસમાં ખાસ કરીને શ્રાવણના સોમવારે યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતીમાં યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી. સોમનાથ સાંનિધ્યે શ્રાવણ માસ દરમ્યાન થયેલ આવક અને ભાવિકો દ્વારા કરાયેલ પૂજા અર્ચના સહિતની વિગતો આપતા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને અધિકારી દિલીપભાઈ ચાવડાએ જણાવેલ કે, સમગ્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને શિવ ભક્તો દ્વારા ૩૯૦ ધ્વજા ચડાવવામાં આવેલ, ૫૧૦ ભાવિકોએ સોમેશ્વર મહાપૂજન કરેલ, ૮૪ સવાલક્ષ બિલ્વપૂજા, ૬૮૬૫ રૂદ્રાભિષેક, ૨,૪૯૩ બ્રાહ્મણ ભોજન સહિતની પુજાવિધિ સાથે  ૪૫૯૫ મહામૃત્યુંજય મંત્રજાપ  કરી શિવ ભક્તોએ ધન્યતા પ્રાપ્તિ કરી હતી. શ્રાવણ માસમાં સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે ખાસ આયોજન કરાયેલ મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જાેવા મળ્યું હતું. જેના કારણે સમગ્ર માસમાં ૧૬,૦૮૮ યાત્રીકોએ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૩,૩૭,૮૪૮ યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી. વધુમાં સોમનાથ મહાદેવના દર્શને આવનાર કોઈપણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યેય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં ૯૦ હજારથી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત વિવિધ સામાજીક સંસ્થાઓ, ભક્તો દ્વારા શ્રાવણ માસમાં હજારો યાત્રીઓને પ્રસાદી રૂપે ફળાહાર કરાવેલ હતું. વધુમાં શ્રાવણ માસમાં યાત્રીકો દ્વારા સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા પુજાવિધિ,ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ, કાર્ડ સ્વાઇપના માધ્યમથી રૂા.૨.૩૭ કરોડની રકમ અર્પણ કરવામાં આવેલ અને રૂા.૩૦.૨૩ લાખના મૂલ્યના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા સોમનાથ મહાદેવના ચાંદીના સીક્કા યાત્રીકોએ સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ કર્યા હતા. સોમનાથ મહદેવની પ્રસાદી સ્વજનો માટે સાથે લઈ જવા માટે શ્રાવણ માસમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કાઉન્ટર શરૂ કરાયા હતા. જેનો લાભ લઇ યાત્રીઓ રૂા.૩.૨૩ કરોડનો પ્રસાદ સાથે લઇ ગયેલ હતા. મંદિરની પ્રસાદ, પુજાવિધી, ડોનેશન,ચાંદિના સીક્કા સહિતની કુલ આવક રૂા.૫.૯૦ કરોડ જેટલી ટ્રસ્ટને થયેલ છે. વધુમાં શ્રાવણમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ પ્રકાશ જાવડેકર, વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, રાજ્યના મંત્રીઓમાં જીતુભાઇ વાઘાણી, પુર્ણેશભાઇ મોદી, કુબેરભાઇ ડીંડોર, નરેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ ઉપરાંત કર્ણાટકના પુર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો સોમનાથ આવી મહાદેવના દર્શન કર્યા હતા. વધુમાં શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકો ઘરબેઠા કરી શકે તે માટે સોશ્યલ મીડીયાનું માધ્યમ મહત્વનું બન્યુ હતું. જેમાં જુદી જુદી શોશ્યલ મીડીયા સાઇટો ઉપર ટ્રસ્ટના ઓફીશ્યલ પેજ ઉપરથી ૪૫ દેશમાં વસતા ૧૨.૭૫ કરોડથી વધુ શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. જેમાં ખાસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ તિરંગા લાઇટીંગની થીમ ઉપર બનાવવામાં આવેલ એક રીલને ફેસબુક ઉપર એક કરોડથી વધુ રીચ મળી હતી. શ્રાવણ માસ દરમ્યાન ફેસબુક ઉપર ૭ કરોડ, યુટ્યુબ ઉપર ૨.૮૦ કરોડ, ઇન્સ્ટાગ્રામ ઉપર ૧.૯૪ કરોડ, ટ્‌વીટર ઉપર ૯ લાખ, કુ એપ ઉપર ૨.૭૧ લાખ સહિતના મળી કુલ ૧૨.૭૫ કરોડ દેશ-વિદેશમાં વસતા ભક્તોએ સોમનાથ મહાદેવના  ઓનલાઇન દર્શન-આરતી-પુજામાં જાેડાઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી. શ્રાવણ માસમાં દેશ-વિદેશમાં વસતા ૨,૧૨૬ શિવભક્તોએ ઓનલાઈન પુજા નોંધાવી હતી. આ તમામને ઝુમ એપ થકી ઓનલાઇન પૂજાનો ઇ-સંકલ્પ કરાવી હજારો કિમી દૂર બેસીને પણ સોમનાથના સાંનિધ્યનો અનુભવ કર્યો હતો. શ્રાવણ દરમ્યાન ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇના નેતૃત્વમાં ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

error: Content is protected !!