દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રી મેળો ખુલ્લો મુકાયો : બહેનો દ્વારા વસ્તુઓનું સાત દિવસ સુધી પ્રદર્શન તથા વેંચાણ

0

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા-જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ ક્ષમતા, વર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે. નવરાત્રી પર્વને અનુલક્ષમાં ચણીયા ચોલી, ઈમિટેશન, જવેલરી, દાંડીયા, કુર્તી, ગરબા, દીવડા જેવી નવરાત્રીને અનુરૂપ ચીજ-વસ્તુઓના વેંચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખંભાળીયા દ્વારા ગ્રામહાટ, મંદિર ચોક, દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મેળાનો શુભારંભ દ્વારકા તાલુકા પંચાયતના પબુભા સુકાલભા માણેક તથા ટીડીઓ કે.વી. શેરઠીયાના હસ્તે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઓસડ મહિલા સંઘના પ્રમુખ લીલાબેન તથા ઓખામંડળના વિવિધ જૂથના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય અને શહેરી કક્ષાએ સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત તેમજ વેંચવામાં આવતી વિવિધ વસ્તુઓના વેંચાણ માટે દ્વારકાના મંદિર ચોકમાં ગ્રામ હાટ, ખાતે નવરાત્રી મેળાનું આયોજન તા.ર૭ સુધી કરવામાં આવ્યું છે. આ મેળો સવારના ૧૦ થી રાત્રે ૯ સુધી ખુલ્લો રહેશે. આ મેળાની મુલાકાત લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર. પરમાર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!