વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાતને ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયાના બે નવા પ્રોજેક્ટની ભેટ આપી

0

નેશનલ હાઈવે નંબર-૫૮ ઉપર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી ઉપર નવો ફોર લેન બ્રિજ બનશે : ગુજરાત રાજ્યના નેશનલ હાઈવે નંબર-૫૮ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરીને મંજુરી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ ઉપર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી ઉપર નવો ફોર લેન મોટો બ્રિજ અને નેશનલ હાઈવે નંબર-૫૮ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરી માટે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશમાં એક સાથે ૧૯ રાજ્યોમાં, ૯૭ હજાર ૩૨૮ કરોડ રૂપિયાના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગુજરાતને ૧ હજાર ૫૭૫ કરોડ રૂપિયાના ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે પાછલા દસ વર્ષમાં ગુજરાતમાં ૬૬ હજાર ૪૭૦ કરોડ રૂપિયાના ૩૮૯૨ કિલોમીટરના ૧૯૯ જેટલા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. હવે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જાેડતા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટના ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ બે પ્રોજેક્ટ પૈકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૮ ઉપર ધરોઈ ગામ ખાતે ધરોઈ ડેમ પાસે નવીન ચાર માર્ગીય મોટા પુલના બાંધકામની કામગીરી ૩૯૮.૪૦ કરોડના ખર્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી ઉપર નવો નિર્માણ થનારો આ મોટો બ્રિજ હાલના સાબરમતી નદીના પટમાં હયાત લો લેવલ કોઝવેની જગ્યાએ નવીન ગ્રીનફિલ્ડ અલાઈમેન્ટમાં ફૂટપાથ સહિતનો ચાર માર્ગીય બ્રિજ બનશે. તે ઉપરાંત આ પ્રોજેક્ટમાં ૨ વ્હીકલ અંડરપાસ, ૩ નાના પુલ અને ૪ નાળાની બાંધકામની કામગીરી પણ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને લીધે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ ઉપર ધરોઈ ડેમ પાસે હયાત લો લેવલ કોઝવે ડૂબમાં જતો હોવાના કારણે અંદાજે ૧ માસ સુધી વડાલી-સતલાસણા રસ્તા ઉપર વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ નવા ફોર લેન બ્રિજની મંજૂરી મળતા તેનું બાંધકામ થયેથી વાહન ચાલકોની આ સમસ્યાનો હલ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્ય સરકારે ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શરૂ કરેલી કામગીરી પણ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જાેડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી ઉપર બનનારા આ બ્રિજના પ્રોજેક્ટના નકશા-અંદાજાે ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જાેગવાઈઓને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને જાેડવાનું કામ કરશે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. આ ઉપરાંત કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ ઉપર ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના કુલ ૫૬.૬૨૦ કિ.મી. રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી માટે રૂા.૬૯૯.૭૯ કરોડ મંજુર કરવામાં આવેલા છે. તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે. જે ૫૬.૬૨૦ કિલોમીટરના રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી થવાની છે તે પૈકી રાજસ્થાન સરહદ પાસેના ખોખરા ગામથી વિજયનગર વચ્ચેનો ૧૧.૫૦૦ કિ.મી. હયાત ૩.૭૫ મીટરનો એકમાર્ગિય રસ્તો છે. તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારાધોરણ મુજબ ૧૦.૦૦ મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુનઃબાંધકામની કામગીરી કરવામાં આવશે. વિજયનગર, આંતરસુબા, અને માથાસુર ચોકડીને જાેડતા હયાત ૪૫.૧૨૦ કિલોમીટર લંબાઈના ૭ મીટર રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણ મુજબ ૧૦.૦૦ મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુનઃબાંધકામની કામગીરી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના હયાત રસ્તામાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખુબ જ વધુ પ્રમાણમાં તીક્ષ્ણ વળાંક આવે છે અને તેને કારણે વાહન ચાલકોને વાહન વ્યવહારમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અકસ્માતનો પણ ભય રહે છે. આ સમસ્યાના નિવારણ માટે પ્રોજેક્ટમાં કુલ ૧૪ જગ્યાએ હાલમાં સ્થિત તીક્ષ્ણ વળાંકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણો મુજબના કરવા રી-અલાઈમેન્ટ કરવાની કામગીરીનો અને ૫ મોટા પુલ, ૨૯ નાના પુલ, ૧૦૫ નાળા સહિત પાનોલ ગામ પાસે નવીન રેલવે ઓવર બ્રીજ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને પરિણામે વિવિધ ગ્રામજનોના સામાજિક-આર્થિક પરિમાણને વેગ મળશે તેમજ ઉદયપુર, પોલો ફોરેસ્ટ અને અંબાજી મંદિર જેવા જાણીતા પ્રવાસન અને યાત્રાધામોને જાેડતા આ માર્ગથી ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ના વડાલી, ધરોઈ અને સતલાસણા રસ્તાની ડી.પી.આર.ની કામગીરી પણ પ્રગતિમાં છે તેના અપગ્રેડેશનની કામગીરી આવનારા સમયમાં કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ના માથાસુરથી વડાલી અને સતલાસણાથી ખેરાલુ રસ્તાને ફોર લેન કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે. ઉપરાંત, આ પ્રોજેક્ટ ઉપરના ગામોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, તેથી વિવિધ કૃષિ, ડેરી અને ઔદ્યોગિક ઉત્પાદનોના માલ પરિવહનમાં વૃદ્ધિ થશે.

error: Content is protected !!