દિવાળી પહેલા જ રાજય મંત્રીમંડળનું વિસ્તરણ : કાઉન્ટ ડાઉન શરૂ
ગત રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વડાપ્રધાન મોદી અને અમીત શાહ વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ : મંત્રીમંડળમાં અનેક ફેરફારો આવશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૪:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં જ તેમનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવા માટે ગત રાત્રે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના વરિષ્ઠ નેતાઓ વચ્ચે લગભગ પાંચ કલાકની લાંબી મેરેથોન બેઠક યોજાઈ હતી.
જે અંગે સુત્રોએ જણાવ્યા મુજબ, ભાજપના હાઈ કમાન્ડે નવા મંત્રીઓની યાદીને મંજૂરી આપી દીધી છે અને મુખ્યમંત્રીને ‘કાઉન્ટડાઉન‘ શરૂ કરવા
માટે કહી દીધું છે.
વર્તમાન કેબિનેટના લગભગ પાંચ મંત્રીઓને જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપમાં જોડાયેલા બે થી ત્રણ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
બે મહિલા નેતાઓને મંત્રી તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. (બિનસત્તાવાર અહેવાલ મુજબ રિવાબા, સંગીતા પાટીલ હોય શકે)
હાલના વિધાનસભા અધ્યક્ષને કોઈ મહત્વપૂર્ણ પદ પર ‘એલિવેશન‘ મળી શકે છે. (બિનસત્તાવાર અહેવાલ મુજબ ડેપ્યુટી સીએમ)
પોર્ટફોલિયોમાં ફેરફાર: જે બે થી ત્રણ મંત્રીઓ તેમના પદ જાળવી રાખશે, તેમને આગામી વિસ્તરણમાં નવા ખાતાઓ સોંપવામાં આવે તેવી શક્યતા છે.
નવા મંત્રીમંડળમાં
લગભગ ૨૦ થી ૨૩ સભ્યોનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે.
સરકાર અને પક્ષ સંગઠન બંને માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પહેલા કેબિનેટમાં ફેરફાર જાહેર થશે અને ત્યારબાદ નવા સંગઠનાત્મક નિમણૂંકો કરવામાં આવશે.
બેઠકમાં હાજર એક અગ્રણી સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની ઈચ્છા છે કે નવા પદ સંભાળનાર તમામ ચહેરાઓ ગુજરાતની જનતા સાથે જોડાય અને પદ ગ્રહણ કર્યા બાદ તરત જ તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવે.
આ ફેરફારો દ્વારા ભાજપ હાઈકમાન્ડ આગામી ચૂંટણીઓ પહેલા સરકાર અને સંગઠનને મજબૂત બનાવવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલન જાળવવા માંગે છે.


