વનતારામાં હાથીઓના સંરક્ષણ માટે અનેક પહેલની જાહેરાત

વનતારામાં હાથીઓના સંરક્ષણ માટે અનેક પહેલની જાહેરાત

વિશ્વ હાથી દિવસ નિમિત્તે, અનંત અંબાણી દ્વારા સ્થપાયેલા વનતારાએ હાથી કલ્યાણ, સંરક્ષણ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ ક્ષેત્રે ચાલી રહેલી તેમની કામગીરીને રજૂ કરી છે. ૨૬૦થી વધુ એશિયાઈ હાથીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું વનતારા આજે હાથી કલ્યાણ માટેનું વિશ્વનું એક અગ્રણી કેન્દ્ર બની ગયું છે. ગૌરી નામના પ્રથમ હાથીના રેસ્ક્યૂથી શરૂ થયેલી આ સફર આજે એક વિશાળ મિશનમાં પરિવર્તિત થઈ ચૂકી છે. અનંત અંબાણીએ જણાવ્યું છે કે ‘દરેક હાથીની પોતાની એક અનોખી વાર્તા છે અને ગૌરીના રેસ્ક્યૂથી શરૂ થયેલી આ યાત્રા આજે હાથીઓના કલ્યાણ, તેમની સંભાળ રાખનારાઓની સહાય અને વૈશ્વિક સંરક્ષણ પ્રયાસો માટે સંપૂર્ણપણે સમર્પિત છે.’
જયપુરના હાથી ગાવમાં અદ્યતન સંભાળ કેન્દ્રની જાહેરાત
વિશ્વ હાથી દિવસના વિશેષ અવસરે, રાજસ્થાન સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી સંજય શર્માએ જયપુરના હાથી ગાવ ખાતે હાથીઓની કાળજી અને જીવનગુણવત્તા સુધારવા માટે વનતારા સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ પહેલ અંતર્ગત અદ્યતન હૉસ્પિટલ, ન્યુટ્રિશન સેન્ટર અને હાઇડ્રોથેરાપી સુવિધાથી સજ્જ ‘એલિફન્ટ ટ્રીટમેન્ટ ઍન્ડ કેર ફેસિલિટી‘ તથા વૃદ્ધ હાથીઓ માટે વિશેષ ‘રિટાયરમેન્ટ ઍન્ડ કેર સેન્ટર‘ સ્થાપવામાં આવશે.
આઠ સ્થળોએ રાષ્ટ્રીય હાથી કલ્યાણ આઉટરીચ પ્રોગ્રામ
વનતારાએ તાજેતરમાં જ આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના આઠ અલગ-અલગ સ્થળોએ રાજ્ય વન વિભાગોના સહયોગથી એક વ્યાપક રાષ્ટ્રીય હાથી કલ્યાણ આઉટરીચ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમ થકી ૧૮૨ હાથીઓના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે કરવામાં આવી હતી અને ૨૪૨ મહાવતોને સક્રિયપણે સાંકળવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને રોગનિવારક પશુચિકિત્સા સંભાળ, ન્યુટ્રિશનલ સપોર્ટ અને જરૂરી વેટરનરી કિટ્સ પણ પૂરી પાડવામાં આવી હતી.
બાળકોમાં દયાભાવ કેળવવા ‘માય ફ્રેન્ડ લીલાવતી‘ કેમ્પેઇન
બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયાભાવ કેળવવાના ઉદ્દેશ્યથી વનતારા દ્વારા ‘માય ફ્રેન્ડ લીલાવતી‘ નામનું વિશેષ સોશિયલ મીડિયા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. સર્કસની આગમાં ગંભીર રીતે દાઝી ગયેલી લીલાવતી નામના હાથીની હૃદયસ્પર્શી વાર્તા દ્વારા બાળકોને પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનવાનો સુંદર સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત યોજાનાર પઝલ અને મેસેજ સ્પર્ધાના વિજેતા બાળકોને વનતારાની મુલાકાત લેવાની અને લીલાવતી તથા તેના કેરટેકરને રૂબરૂ મળવાની અદ્ભુત તક મળશે.
માનવ-હાથી સંઘર્ષ ઘટાડવા વૈશ્વિક સ્તરે આર્થિક સહાય
માનવ-હાથી સંઘર્ષને નાથવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત કરવા વનતારા એલિફન્ટ પ્રોટેક્શન ઇનિશિયેટિવ(EPI) ફાઉન્ડેશનને મહત્ત્વપૂર્ણ ગ્રાન્ટ પૂરી પાડી રહ્યું છે. આ સહયોગ માર્ચ ૨૦૨૭માં બેંગકોકમાં યોજાનાર સમિટ માટે એશિયા અને આફ્રિકાના નિષ્ણાતો તથા યુવા પ્રતિનિધિઓને વિશેષ સહાય પ્રદાન કરશે. આ સાથે જ ભારતમાં પ્રથમ વખત ‘EPI યુથ એમ્બેસેડર્સ પ્રોગ્રામ‘નો વ્યાપ વધારવામાં આવશે. આ ઉપરાંત, વનતારા ગ્રાઉન્ડ લેવલ પર રેપિડ-રિસ્પોન્સ વેટરનરી ટીમ અને થર્મલ ડ્રોન સરવેલન્સ દ્વારા પણ ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યું છે.
હાથીઓનું મારા હૃદયમાં ખાસ સ્થાન રહ્યું છે: અનંત અંબાણી
આ અવસરે પોતાના વિચારો વ્યક્ત કરતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે-હાથીઓનું મારા હૃદયમાં અને વનતારાની સફરમાં હંમેશાં એક ખૂબ જ ખાસ સ્થાન રહ્યું છે. અમે જે પણ હાથીની સંભાળ લઈએ છીએ, તેની એક અનોખી વાર્તા છે અને દરેક રેસ્ક્યૂ અમને તેમના કલ્યાણ પ્રત્યેની આપણી જવાબદારીનું સતત ભાન કરાવે છે. ગૌરીના રેસ્ક્યૂથી શરૂ થયેલી આ સફર આજે હાથીઓના કલ્યાણમાં સુધારો કરવા, તેમની સંભાળ રાખનારા લોકોને મદદ કરવા, ભાગીદારો સાથે જ્ઞાન અને અનુભવો વહેંચવા તેમજ ભારત અને વિશ્વભરમાં હાથીઓના સંરક્ષણમાં યોગદાન આપવાની એક વ્યાપક પ્રતિબદ્ધતા બની ગઈ છે. વિશ્વ હાથી દિવસે, આપણે આ ઉજવણી કરીએ છીએ અને તેમના સારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સાથે મળીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુન:ઉચ્ચારીએ છીએ.
રિલાયન્સ ફાઉન્ડેશનના સમર્થનથી ધમધમતી સંસ્થા: વનતારા
વનતારા એ પ્રાણીઓના રેસ્ક્યૂ, અત્યાધુનિક સારવાર અને આજીવન સંભાળ માટે સંપૂર્ણપણે સમર્પિત એક વૈશ્વિક સંસ્થા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની શાખા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત વનતારા પાસે વિશ્વની સૌથી મોટી સમર્પિત એલિફન્ટ હૉસ્પિટલ સહિત અનેક અત્યાધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી વાઇલ્ડલાઇફ હૉસ્પિટલોની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે.