મહાશિવરાત્રી મેળા પૂર્વે મજેવડી ગેઈટથી ગિરનાર દરવાજા સુધીના દબાણો દૂર કરાયા
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેળા દરમ્યાન સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને પાર્કિંગની રહેતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધીના માર્ગ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ધારાગઢ નજીક આવેલા બે ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તા પર નડતરરૂપ અન્ય દબાણોને પણ વહેલી તકે દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે, અન્યથા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મેળાના સુચારુ આયોજન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળાને 'મિની કુંભ' તરીકે ઉજવવાનું આયોજન હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે.જેને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને મનપાના અધિકારીઓની હાજરીમાં મેળાના મુખ્ય રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


