શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂ. મોરારીબાપુના આર્શિવાદ
અત્યાર સુધીમાં મહાદેવને આભિષૂત વસ્ત્રો માંથી બહેનોને વસ્ત્ર પ્રસાદ નિર્માણનો લાભ આપી ૨૧,૦૦૦ વસ્ત્રોનું રાજ્યમાં કરાયું છે વિતરણ : વૃદ્ધાશ્રમ, દિવ્યાંગગૃહો, ટ્રાઈબલ બેલ્ટના જિલ્લાઓમાં સમયાંતરે શ્રી સોમનાથ ટ્રસ્ટ કરે છે વસ્ત્ર પ્રસાદ વિતરણ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૩
સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા પૂજ્ય મોરારીબાપુએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞની મુલાકાત લીધી હતી. આ તકે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘વસ્ત્ર પ્રસાદ‘નું નિદર્શન કરી બાપુએ હર્ષની લાગણી અને ખૂબ આદરભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળ અને સ્વ-સહાય જૂથની મહિલાઓને સીવણ અને રાચરચીલા નિર્માણની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને સિલાઈ મશીન અને તમામ સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ બહેનો સોમનાથ મહાદેવને અર્પણ થતા વસ્ત્રો, પાઘ અને પીતાંબરમાંથી કલાત્મક ઝભ્ભા, તોરણ, ચાકડા, ટોડલા અને આસન સહિતની સામગ્રીઓનું નિર્માણ કરે છે. આ વસ્ત્ર પ્રસાદ ભક્તોને શિવત્વનો પરમ અનુભવ કરાવે છે. અત્યાર સુધીમાં મહાદેવને આભિષૂત વસ્ત્રોમાંથી બહેનોને વસ્ત્ર પ્રસાદ નિર્માણનો લાભ આપીને રાજ્યમાં ૨૧,૦૦૦ જેટલા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વસ્ત્ર પ્રસાદ સમયાંતરે રાજ્યના વિવિધ વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો અને ટ્રાઈબલ બેલ્ટના જિલ્લાઓમાં વિનામૂલ્યે વિતરિત કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તોની લાગણીને સન્માન આપીને ટ્રસ્ટ દ્વારા સ્થાનિક કક્ષાએ યાત્રીઓ માટે સોવેનિયર કાઉન્ટરો અને ઓનલાઇન ટ્રસ્ટની વેબસાઇટ પર વસ્ત્ર પ્રસાદનું વેચાણ પણ પ્રારંભ કરેલ છે. તાલીમ પામેલી બહેનો દ્વારા તૈયાર કરાયેલા ૫૦૦ જેટલા ઝભ્ભાનું સફળતાપૂર્વક વેચાણ થયું છે. વિશેષ બાબત એ છે કે કલાત્મક દૃષ્ટિને ભક્તિ સાથે ભેળવીને, સિલાઈ બાદ વધતા લેસના પટ્ટા, માળા અને બ્રોચ વગેરેનો સદુપયોગ કરી ગૃહસુશોભન અને ઘરમાં પવિત્રતા લાવતી ૫૦૦૦ જેટલી કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ બહેનો દ્વારા બનાવેલી આ તમામ વસ્તુઓનું નિદર્શન કર્યું હતું અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના આદરણીય અધ્યક્ષ નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ‘ મંત્રને સાકાર કરવા માટે ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ આ શ્રદ્ધા, કલા અને રોજગારીની બેસ્ટ પ્રેક્ટિસ પ્રત્યે બાપુએ ખૂબ આદરભાવ વ્યક્ત કરી કામગીરીની પ્રસંશા કરી હતી.


