અણુ ઊર્જા ક્ષેત્રને ટૂંક સમયમાં ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મુકાશે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સ્પેસ ક્ષેત્રની સ્ટાર્ટઅપ કંપની સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧નું અનાવરણ કર્યું હતું. આ રોકેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મોકલવાની ક્ષમતા ધરાવે છે
હૈદરાબાદ, તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે સરકારના કડક નિયંત્રણવાળા પરમાણુ ઉર્જા ક્ષેત્રને ટૂંક સમયમાં ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ પગલું દેશની ઉર્જા સુરક્ષાને નવી મજબૂતાઈ આપશે. આ ક્ષેત્રમાં પણ ખાનગી ક્ષેત્રની મજબૂત ભૂમિકાનો પાયો નંખાશે.હૈદરાબાદમાં સ્કાયરૂટ એરોસ્પેસના ઇન્ફિનિટી કેમ્પસના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે, અમે આ ક્ષેત્રમાં પણ ખાનગી ક્ષેત્ર માટે મજબૂત ભૂમિકાનો પાયો નાખી રહ્યાં છીએ. આનાથી નાના મોડ્યુલર રિએક્ટર, અદ્યતન રિએક્ટર અને ન્યુક્લિયર ઇનોવેશનમાં નવી તકો ઊભી થશે.આ સુધારાથી આપણી ઉર્જા સુરક્ષા અને ટેકનોલોજીકલ નેતૃત્વને નવી તાકાત મળશે.સરકારે 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જાના ઉત્પાદનનો ટાર્ગેટ નિર્ધારિત કર્યાે છે, જે વર્તમાન 8.8 GW પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતાથી 10 ગણો વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સ્પેસ ક્ષેત્રની સ્ટાર્ટઅપ કંપની સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું અનાવરણ કર્યું હતું. આ રોકેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મોકલવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે Gen Z એન્જિનિયરો, Gen Z ડિઝાઇનર્સ, Gen Z કોડર્સ અને Gen Z વૈજ્ઞાનિકો નવી ટેકનોલોજીનું સર્જન કરી રહ્યાં છે. તેમની સરકારે સ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કર્યા છે અને તેનાથી સ્કાયરૂટ અને અન્ય કંપનીઓ આવા રોકેટ બનાવી રહી છે.


