જૂનાગઢ સોનાપુરી સ્મશાનમાં ભૂતાવળ ડાયરામાં ભારે ભીડ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ
પોલીસે ભૂતાવળ ડાયરો અધવચ્ચે અટકાવી દીધો : કલાકો સુધી ટ્રાફીક જામની સ્થિતિ રહી
જૂનાગઢ તા. 24
જૂનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્મશાનમાં એક અનોખા અને ભવ્ય ‘ભૂતાવળ ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમની એટલી વ્યાપક અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી કે, જાહેરાત જોતાની સાથે જ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા જેને લઈને સોનાપુરી જગ્યા અને તેની આસપાસના વિસ્તારો હજારોની જનમેદનીથી ઉભરાઈ ગયા હતા. આ અનોખા ડાયરાને માણવા માટે જૂનાગઢના સ્થાનિક કલાકારો પણ પોતાની કલા પીરસવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ પ્રચંડ ભીડને કારણે સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે, ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય માર્ગો પર પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા.
વાહનોના આ અણઘડ ર્પાકિંગના કારણે એ તકે ભવનાથ તરફ જવા ઈચ્છતા યાત્રિકો અને પ્રવાસીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકની ગંભીરતા એ હદે વધી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા નીકળેલી પોલીસની સરકારી ગાડીઓ પણ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં અટવાઈ પડી હતી અને ભવનાથ તરફ જતા પ્રવાસીઓની ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
જ્યારે સોનાપુરી ખાતે આટલા મોટા પાયે કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે શરૂઆતમાં ત્યાં સ્થાનિક ભવનાથ પોલીસની હાજરી જોવા મળી ન હતી. પોલીસની ગેરહાજરીના કારણે વાહનચાલકો પર કોઈ અંકુશ રહ્યો ન હતો અને ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ હતી. અચાનક હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા ત્યારે જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન આ બાબત પર ગયું હતું. ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક એક્શનમાં આવીને ભવનાથ પોલીસને ઘટનાસ્થળે પહોંચવા કડક આદેશો આપ્યા હતા, જેના કલાકો બાદ ભવનાથ પોલીસનો કાફલો સોનાપુરી ખાતે આવી પહોંચ્યો હતો.
વધુ ભીડને કારણે કોઈ પણ મોટી અઘટિત કે દુ:ખદ ઘટના ન ઘટે તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે રાત્રે 11 વાગ્યાના સુમારે જ આયોજકોને ડાયરો સદંતર બંધ કરી દેવાની ફરજ પાડી હતી, જેને પગલે અડધા કલાકારો પોતાની પ્રસ્તુતિ પણ આપી શક્યા ન હતા. ડાયરો બંધ કરાવાયા બાદ ટ્રાફિક હળવો કરવા માટે ભવનાથ પોલીસે કડક આકરા પગલાં લીધા હતા અને લોકોને ભવનાથ તરફ જતા અટકાવી તમામ વાહનોને ફરીથી જૂનાગઢ સિટી તરફ વાળી દીધા હતા, જેથી મુખ્ય માર્ગ ખુલ્લો કરી શકાય.
સમગ્ર મામલે ડાયરાના કલાકારોએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી જણાવ્યું હતું કે સોનાપુરીની જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે હજારોની મેદની સામે ખૂબ જ ટૂંકી અને મર્યાદિત હતી. આયોજકોની ધારણા કરતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકમેદની પહોંચી જતાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ પૂરતો આ ડાયરો સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ આગામી સમયમાં મોટી જગ્યાની વ્યવસ્થા કરીને ફરીથી ભૂતાવળ ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવશે તેવી ખાતરી આયોજકો દ્વારા આપવામાં આવી છે.



