રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો તા.૨૧મી જાન્યુઆરીએ પદવીદાન સમારોહ
કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૫૭૮ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત થશે
જૂનાગઢ, તા.ર૦
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે તા.૨૧-૧-૨૦૨૬ના રોજ બપોરે ૧૧ કલાકે યોજાનાર આ પદવીદાન સમારોહમાં રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્યદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત હરિયાણાના કરનાલ ખાતેની મહારાણા પ્રતાપ બાગાયત વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. એસ. કે. મલ્હોત્રા દીક્ષાંત પ્રવચન આપશે.
આ દિક્ષાંત સમારંભમાં રાજ્યપાલશ્રીના વરદહસ્તે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૫૭૮ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ- ૭૪ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર મેડલ તથા ૦૧ (એક) કેશપ્રાઇઝ એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમ કુલપતિ ડો.વી. પી. ચોવટિયાના વડપણ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર છે. કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણી, તમામ યુનિવર્સિટી અધિકારીઓ, પ્રાધ્યાપક અને વડાઓ તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારી, કર્મચારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ દીક્ષાંત સમારંભનુ જીવંત પ્રસારણ jau.in/live/ ઉપરથી જાેઈ શકાશે, તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવની યાદીમાં જણાવાયું છે.


