વીડીયો ઉતારવા પ્રશ્ને જૂનાગઢ મનપા કચેરીએ અરજદાર-કર્મચારી વચ્ચે બબાલ - મારમાર્યા અંગેના સામસામા આક્ષેપો : પોલીસ ફરીયાદ નોંધાઈ

વીડીયો ઉતારવા પ્રશ્ને જૂનાગઢ મનપા કચેરીએ અરજદાર-કર્મચારી વચ્ચે બબાલ - મારમાર્યા અંગેના સામસામા આક્ષેપો : પોલીસ ફરીયાદ નોંધાઈ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ મહાનગરપાલિકા ગઈકાલે ફરી એકવાર વિવાદોના વંટોળમાં આવી છે. કચેરીના કામકાજના કલાકો દરમ્યાન કર્મચારીઓની ગેરહાજરી અને અરજદાર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા લાઈવ વીડિયોએ ટૂંક સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના માત્ર શાબ્દિક દલીલો સુધી સીમિત ન રહેતા મારામારી અને અંતે પોલીસ ફરિયાદ સુધી પહોંચી હતી, જેના કારણે આખા દિવસ દરમ્યાન મનપા સંકુલમાં હંગામાભરી સ્થિતિ જોવા મળી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે સવારના સમયે મધુરમ વિસ્તારના અરજદાર કરસનભાઈ સોલંકી પોતાની રજૂઆત લઈને ટાઉન પ્લાનિંગ શાખામાં પહોંચ્યા હતા. હવેલી ગલીમાં ચાલી રહેલા એક મોટા ગેરકાયદેસર બાંધકામ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાના અરજદારે આક્ષેપો કર્યા હતા. જોકે, જ્યારે તેઓ ઓફિસમાં પહોંચ્યા ત્યારે લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓ પોતાની ખુરશી પર હાજર ન હોવાનું જણાયું હતું. આ સ્થિતિ જોઈ રોષે ભરાયેલા અરજદારે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી લાઈવ વીડિયો શરૂ કર્યો હતો, જેમાં ખાલી પડેલી ઓફિસ અને કર્મચારીઓની ગેરહાજરી સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ વીડિયો ઉતારવાની ઘટના બાદ મોડેથી આવેલા કર્મચારીઓ અને અરજદાર વચ્ચે તણખા ઝર્યા હતા. વીડિયો બંધ કરવા બાબતે થયેલી બોલાચાલી જોતજોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. અરજદાર કરસન સોલંકીએ વહીવટી તંત્ર અને કમિશ્નર સામે અત્યંત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પાનસુરિયા અને અન્ય કર્મચારીઓએ તેમનો કાંઠલો પકડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા અને માર માર્યો હતો. વધુમાં એવો પણ સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે, કર્મચારીઓ કમિશનરના નામે ધમકી આપતા હતા કે તેમને ‘પાડી દેવાની‘ સૂચના આપવામાં આવી છે. 
આ સમગ્ર ઘટનાક્રમ કચેરીના સીસીટીવીમાં પણ કેદ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આ ઘટનાના વિરોધમાં મહાનગરપાલિકાના કર્મચારીઓએ એકસંપ થઈને પોતાની ભૂલ છુપાવવાને બદલે ‘અરજદારો દ્વારા કરાતી હેરાનગતિ‘ના નામે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. કર્મચારીઓએ કચેરીને તાળા મારી દીધા હતા અને તમામ કામકાજ ઠપ્પ કરી દીધું હતું. કર્મચારીઓનો એવો આક્ષેપ હતો કે, અરજદારે જ તેમની સાથે ગેરવર્તણૂક કરી છે અને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો હતો.
મહિલા કર્મચારી શ્રેયા પાનેરીએ જણાવ્યું હતું કે, કચેરીમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન સામાન્ય બની ગયું છે અને જનસેવા કેન્દ્રમાં કામ કરતા સ્ટાફની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવા માંગ કરી હતી.કર્મચારીઓની હડતાળ અને કચેરીને મારેલા તાળાને કારણે દૂર-દૂરથી આવેલા નિર્દોષ અરજદારો ભારે હાલાકીમાં મુકાયા હતા. આ ગડમથલ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે અંતે મનપા કમિશ્નર મેદાનમાં આવ્યા હતા. કમિશ્નરે તમામ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી અને લાંબી સમજાવટ બાદ કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેમની સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયામાં તંત્ર તેમની સાથે છે. કમિશ્નરની આ ખાતરી બાદ કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી અને કચેરીના કામકાજ પુન: શરૂ થયા હતા.
આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકે મનપાની બાંધકામ શાખાના કોમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્રભાઈ દાસાએ કરસન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, જ્યારે કર્મચારીઓ પોતાના ટેબલ પર કાર્યરત હતા ત્યારે કરસન સોલંકીએ ધસી આવીને જુનિયર ક્લાર્ક ચિરાગભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને મહિલા કર્મચારીઓની હાજરીમાં બિભત્સ ગાળો ભાંડી હતી. વધુમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, આરોપીએ જીતેન્દ્રભાઈનો કાંઠલો પકડી તેમને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા અને શર્ટના બટન તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.