ડાબરના ૧૦૦ ટકા શુધ્ધતાનો દાવો કરતી પ્રોડકટ્સના વેચાણ પર પ્રતિબંધ
(એજન્સી) નવી દિલ્હી તા.૪
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ડાબર ઇન્ડિયા પર ભ્રામક અને ‘૧૦૦ ટકા શુદ્ધ‘ દાવાઓ સાથે તેના ઘણા ખાદ્ય ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ડાબરનું મધ અને ગાયનું ઘી પણ સામેલ છે.
FSSAIએ આ દાવાઓને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે અને કંપનીને તાત્કાલિક આ ચિહ્નિત સામાનનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. FSSAIએ ડાબર પાસેથી ૧૫ દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે.
FSSAI મુજબ, કંપનીની વેબસાઇટ પર વેચવામાં આવતા ખાદ્ય પદાર્થો પર અનેક પ્રકારના ભ્રામક ‘૧૦૦ ટકા‘ દાવાઓ જોવા મળ્યા હતા. જેમાં ‘૧૦૦ ટકા નેચરલ‘, ‘૧૦૦ ટકા પ્યોર‘, ‘૧૦૦ ટકા પ્યોરિટી ગેરન્ટેડ‘, ‘૧૦૦ ટકા ઓર્ગેનિક‘ અને ‘૧૦૦ ટકા ટેન્ડર કોકોનટ વોટર‘ જેવા લેબલનો સમાવેશ થતો હતો.
રેગ્યુલેટરનું કહેવું છે કે ‘૧૦૦ ટકા‘ દાવાઓનો આ ઉપયોગ FSS (જાહેરાત અને દાવા) વિનિયમ, ૨૦૧૮નું ઉલ્લંઘન કરે છે. આ દાવાઓ અસ્પષ્ટ, ખોટા અને સામાન્ય ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા છે.


