આજથી ઓવર લોડિંગના નિયમોમાં ફેરફાર

આજથી ઓવર લોડિંગના નિયમોમાં ફેરફાર

(એજન્સી)   નવી દિલ્હી, તા.૧૫:
નેશનલ હાઇવે પર ટ્રક અને માલવાહક વાહનો ચલાવતા ચાલકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોડિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે  આજથી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. નવા નિયમો મુજબ વાહન માલિકોને રાહત આપતાં સરકારે નક્કી કર્યું છે કે, જો ગાડીમાં નિર્ધારિત ક્ષમતા કરતાં ૧૦ ટકા સુધી વધારાનું વજન હશે, તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. નાની ભૂલોને કારણે ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન ન થાય તે હેતુથી આ રાહત આપવામાં આવી છે. જોકે, ૧૦ ટકાથી વધુ વજન હોય તો ભારે દંડનો નિયમ બનાવાયો છે. જો ઓવરલોડિગ ૧૦ ટકાથી ૪૦ ટકાની વચ્ચે હશે, તો સામાન્ય ટોલ ટેક્સ કરતાં બમણો ટેક્સ ભરવો પડશે. જ્યારે ૪૦ ટકાથી વધુ ઓવરલોડિગના કિસ્સામાં ટોલ ટેક્સના ચાર ગણા નાણાં ચૂકવવા પડશે. હાઇવે પર મૂકાયેલા વેઇંગ મશીન દ્વારા વજનની ચકાસણી કરવામાં આવશે અને આ દંડની રકમ સીધી કાપવામાં આવશે. નિયમમાં ખાસ શરત એ છે કે, જો કોઈ ટોલ પ્લાઝા પર વજન કરવાનું મશીન ન હોય અથવા ખરાબ હોય, તો વાહન ચાલક પાસેથી વધારાનો કોઈ દંડ લેવામાં આવશે નહીં. આવા સંજોગોમાં માત્ર સામાન્ય ટોલ જ ચૂકવવાનો રહેશે. આ સાથે જ ઓવરલોડિંગ વાહનોનો ડેટા સીધો સરકારી ‘વાહન‘ પોર્ટલ પર અપડેટ થશે.