અનેક શહેરોમાં આતંકી હુમલાની યોજના હતી : બે વર્ષથી વિસ્ફોટકો એકત્ર કરાતા હતા

અનેક શહેરોમાં આતંકી હુમલાની યોજના હતી : બે વર્ષથી વિસ્ફોટકો એકત્ર કરાતા હતા

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૨:
સોમવારે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા શંકાસ્પદ કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસ એજન્સીઓએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. સૂત્રો અનુસાર ડો. ઉમર ઉન નબી હુમલા પાછળ મુખ્ય કાવતરાખોર તરીકે ઉભરી આવ્યો છે. તે ફરીદાબાદ મોડ્યુલનો સૌથી કટ્ટરપંથી સભ્ય હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા ડોક્ટરો, ડો. મુઝમ્મિલ અહેમદ ગનાઈ, ડો. અદીલ મજીદ રાથેર અને ડો. શાહીન શાહીદ પણ આ મોડ્યુલનો ભાગ હતા.ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ પણ છેલ્લા બે વર્ષથી વિસ્ફોટકો એકત્રિત કરી રહી હતી. સૂત્રો કહે છે કે પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે, તેના સાથી આતંકવાદી ડોક્ટરો સાથે, દેશભરમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે શ્રીનગરમાં પૂછપરછ દરમિયાન શાહીન શાહીદે સ્વીકાર્યું હતું કે ઉમર ઘણીવાર દેશભરમાં અનેક આતંકવાદી હુમલાઓ કરવાની વાત કરતો હતો. તેઓ બધા ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ કોલેજમાં સાથે કામ કરતા હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓની યોજનાઓની ચર્ચા કરવા માટે કામ પછી મળતા હતા.
તપાસ એજન્સીઓ અનુસાર, ઉમર, મુઝમ્મિલ અને અદીલ લગભગ બે વર્ષથી ખાતર આધારિત વિસ્ફોટકો, જેમ કે એમોનિયમ નાઈટ્રેટનો સંગ્રહ કરી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય જૈશ-એ-મોહમ્મદના નિર્દેશો પર દેશભરમાં મોટા પાયે આતંકવાદી હુમલાઓ કરવાનો હતો.