અમદાવાદમાં ઘરકંકાસમાં બનેલી ઘટનામાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યા
(બ્યુરો) અમદાવાદ તા.૨૪
અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસેની બ્યુટી પાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બુમો સંભળાતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.લોકો ત્યાં પહોંચતા જાણ થઈ હતી કે પતિએ જ પત્ની અને સાસુને જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવ્યા છે. ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. કુબેરનગરમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામકાજ કરતી પરણિત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ ચાલી રહી હતી. ગત રાત્રે અશોક પત્નીના બ્યુટી પાર્લરે આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમયે પાર્લરમાં હાજર તેના સાસુ વચ્ચે પડતા ત્રણેય વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન અશોક જવલનશીલ પદાર્થ લઈને પત્ની અને સાસુ પર નાંખીને આગ ચાંપીને ફરાર થઇ ગયો હતો. થોડીવારમાં જ બુમાબુમ થતાં કોમ્પ્લેક્સના વેપારીઓ અને આસપાસના રાહદારીઓ એકઠા થઇ ગયા હતા.પરંતુ ત્યાં સુધીમાં આરોપી અશોક નાસી છુટ્યો હતો.


